શ્રીહરિ કહે ઊદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી ।
દેહ ગેહ સુખથી એહ વનિતા વિરકત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।।
ઢાળ –
મત એની મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે । વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।।
કામ ક્રોધ ને લોભ મોહ, તેતો વિરહ વહ્નિએ બળિયા । આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા ।।૩।।
એકાદશ ઈંદ્રિય એની, ઊદ્ધવ આવી એહને મનમાં । સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।।
પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી । સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી ।।૫।।
ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભકિત એણે રોકની ।।૬।।
મુજ વિયોગે વિલખી વિલખી, તજયાં સુખ સર્વે તનથી । ઊદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી ।।૭।।
હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં તન । ઊદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।।
મને પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં । સ્નેહસાંકળે સાંકળ્યો હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।।
પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ મેલ્યું પ્રેમી પાસળે । નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઊદ્ધવની આગળે ।।૧૦।। કડવું ।।૪૧।।