ઊદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।
હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ।।૧।।
ઢાળ –
ખાન પાનની ખબર નથી, ઊન્મત ગત છે અંગની । લોકલાજ કાજ ત્યાગ કરી, ૧રાતી છે તમારા રંગની ।।૨।।
જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે । તેમ તમારા સ્નેહની કેફે કરી, એનેદેહદશા નવ દિસે સરે ।।૩।।
જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે । સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।।
પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો । હુંતો ગયો તો શીખદેવા, પણ સામું શીખ લઈને વળિયો ।।૫।।
એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે । ચારણી ચિત્તે લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।।
એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે । હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ કાંયે થાયછે ।।૭।।
પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય । જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મદોય ।।૮।।
તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત । જાણે હમણાં હરિ આવશે, એવું ચતવેછે ચિત્ત ।।૯।।
પછી ભેટદીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને । વળી કહ્યું અંગોઅંગ મળજો, નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૪૦।।