એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી ।
અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ।।૧।।
ઢાળ –
કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઈ શ્યામળે, કયારે આવશે વ્રજમાં વળી ।।૨।।
અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।કાંઈક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।।
એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ।।૪।।
બાઈ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા । નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।।
હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી । મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ।।૬।।
શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે । પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।।
એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં । એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ।।૮।।
તિયાં મહી માખણદુધદેખી, ઘણો શોક કરી રૂવે સુંદરી । હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।।
અંતર પ્રીતને ઊપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં । નિષ્કુલાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।।