પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઊછાવજી ।

આપણ ઊપરથી ઊતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।।

ઢાળ

લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।।

એહ સુખ બાઈ કયાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।।

જાદવકુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।।

બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।  નિર્દય હોયદગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।।

હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।।

માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।  મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ।।૭।।

જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।  પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવાદીજીયે ।।૮।।

પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।  લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।।

એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।  નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।।