આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભતરે આવ્યો ભરીજી ।
કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ।।૧।।
ઢાળ –
હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।।
કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઈ પ્રાણ-જીવનને, શું છે એના બાઈ મનમાંય ।।૩।।
એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ।।૪।।
એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી । જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઈ ગોપીતણી ।।૫।।
લડથડે કોઈ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નક નયણે ચાલી નીરની ।।૬।।
વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું । જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ।।૭।।
આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે । પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।।
ગયું ધનજોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં । એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં ।।૯।।
નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે । નિષ્કુલાનંદના નાથ સાથે, હવે કયાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।।