વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું મનમાંયજી ।

અલબેલે માંડ્યો પછી એહ ઊપાયજી, અક્રુર આવિયા તેહ સમે ત્યાંયજી ।।૧।।

ઢાળ

તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને । રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।।

આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર । ગોપી વળી ટોળે મળી, વળી કરેછે વિચાર ।।૩।।

આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભવને નથી જો આવિયો । બાઈ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ।।૪।।

બાઈ સગો નહિ એ શત્રુ છે કોઈ, નંદ યશોદા ગોપને ।  નિશ્ચે કાંઈક નવું નિપજશે, તમેદેખજોદૈવના કોપને ।।૫।।

જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી । વા’લો થઈ કોઈ વૈરિ વસે, આવ્યો એ કરવા ઘાતડી ।।૬।।

કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે ।  હેતદેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।।

વ્રજજનનું જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે ।  વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજીયે ।।૮।।

એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।  આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ।।૯।।

પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઈ અક્રુર એનું નામ છે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ।।૧૦।। કડવું ।।૧૦।।