જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી ।

અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આદેહનોજી ।।૧।।

ઢાળ

દેહતણેદુઃખે કરીને,દલગીર ન થાયેદલમાં ।દરદદુઃખેદોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ।।૨।।

ગુણ ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ । સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।।

જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।।

વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।  તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।।

કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।।

રાસ રચિ ખેલ મચિ, વળી વિછોઇ ગયા વનમાં ।  રોઇ રોઇ ખોઇ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।।

નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।  તોયે હરિનોદોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।।

પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।।

લાગી લગન થઈ મગન, વળી તગન કર્યાં તન સુખજી ।  નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।।