વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઇજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી ।
કૃષ્ણ કયાં કૃષ્ણ કયાં જેને તેને પુછે જઈજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઇજી ।।૧।।
ઢાળ –
શુદ્ધ ભૂલી ગઇ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।।
વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને । નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલદાઝેછે દૃષ્ણને ।।૩।।
ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઈક મષ લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।।
ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે, એહ મષે ચાલિ વાંસે,દયાળુનેદેખવા દૃગે ।।૫।।
નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયેદોયલો । ભૂધરજીને ભેટે જયારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।।
હરિમુખ જોયે સુખ ઊપજે,વળી શાન્તિ વળે શરીરને । અસ્થિર મન તે સ્થિર થાયે, જયારે જુવે હલધર વીરને ।।૭।।
એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે । પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।।
શ્યામ વિના કાંઈ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઈ । પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઇ ।।૯।।
સ્નેહી જનને સુખ કયાંથી, જેના પ્રાણ પરને સાથ છે । નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।।