પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી ।
ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।।
ઢાળ –
ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।।
અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।।
માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે । કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।।
વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।।
વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।।
એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।।
માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં । પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।।
અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે । હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।।
પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું । નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪।