રાગ: ધન્યાસરી –

મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ શ્રીવ્રજરાજજી ।

મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઈચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।।

ઢાળ

ગુણ ગાવા ગોવિંદ તમારા, ઈચ્છા તે મુજને અતિ ઘણી ।  ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।।

સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મ પેખિયું । જપ તપ તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।।

દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભકિત નવધા કોય ।  સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।।

નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।  તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।।

પ્રેમ પખિ છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।।

સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।।

સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ।।૮।।

નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા  નિસરે ।  કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।।

પ્રીતે ચિત્ત ચરણે સાપી, અને સ્નેહ સાચો જે કરે, નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।।