સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી।
સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।।
ઢાળ –
સુખના સાગર શ્રીહરિ, જેનેદેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।।
જેને જોઈ મોહી જનજુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સાપી તન મન ધન સમેતશું ।।૩।।
વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઈ રહ્યાં ।।૪।।
ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।।
મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો નંદ છે ।।૬।।
જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો । તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।।
જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તન શુદ્ધ તરત ।।૮।।
જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।।
નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।।