સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધરદેહ ધરીજી ।

તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।।

ઢાળ

ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને । સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।।

ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।।

પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।।

સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઊપરથી મન ઊતર્યું ।  જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।।

વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।।

કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।  વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।।

વળી અગ્નિથકી અતિ ઊછળે, અને આવે ઊફાણેદુધ । પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।।

લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।  રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું વેલ્યશું ।।૯।।

રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।  નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।। કડવું -૫