એહ જો આજ્ઞા ઊદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી ।
પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઊઠિયા ઊદ્ધવજી વંદના કરીજી ।।૧।।
ઢાળ –
કરી વંદના ઊઠ્યા ઊદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।।
શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઊપર બેઠા જઈ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઊદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ।।૩।।
નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશગળ અમે, થઈ ન શકિયા એક ઘડી ।।૪।।
બહુપેરે એણે બેઊ જણે, ઘણું ઘણું કરી જો જતનને । અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।।
અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા।તોએ અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।।
વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી । અચપળાઈ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।।
એહ માત પિતાની મોટપ, મુખે ઊદ્ધવ કહ્યે નથી આવતી । અમે ન થઈ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।।
તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો । પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।।
શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને । કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૨૬।।