એહ જો આજ્ઞા ઊદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી ।

પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઊઠિયા ઊદ્ધવજી વંદના કરીજી ।।૧।।

ઢાળ

કરી વંદના ઊઠ્યા ઊદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।।

શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઊપર બેઠા જઈ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઊદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ।।૩।।

નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશગળ અમે, થઈ ન શકિયા એક ઘડી ।।૪।।

બહુપેરે એણે બેઊ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।  અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।।

અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા।તોએ અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।।

વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।  અચપળાઈ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।।

એહ માત  પિતાની મોટપ, મુખે ઊદ્ધવ કહ્યે નથી આવતી ।  અમે ન થઈ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।।

તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો ।  પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।।

શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને ।  કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૨૬।।