એ દિન જાયે બહુ દિલદાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।

વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।।

ઢાળ

અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ।।૨।।

ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ।।૩।।

કયાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।જયારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।।

કહેઆજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા ।  તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।।

જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।।

સજજન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ । સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।।

એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।  પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।।

એમ વન જોઈને જુવતી, વળી ભવનઆવી ભામિની । રાજ વિના કાંઈ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।।

પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।  નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।।