દોહા –
એહ રીતે અલબેલડે, કર્યાં કંઈ કંઈક કામ । આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।।
અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય । તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।।
દેશદેશમાં ડંકો દઈ, વળી બેહદ ચલાવી વાત । જે નાવે બુદ્ધિની બાથમાં, તે સાઘી કરી સાક્ષાત ।।૩।।
અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઈ જન । અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઈ પોતે પરસન ।।૪।।
ચોપાઈ –
આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે । કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।।
એવો માંડયો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે । બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।।
કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે । ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઇ અનંત જન થયા ન્યા’લરે ।।૭।।
ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે । એવા ખોળે ન મળે ખેલારૂરે, જેને જુવે હજારે હજારૂંરે ।।૮।।
બીજા બહુ વેષ બનાવ્યારે, તેતો સહુને અર્થ ન આવ્યારે । કોઈ રિઝયા ને કોઈ ન રિઝયારે, એહ વેષે અરથ ન સિઝયારે ।।૯।।
આતો સર્વે વેષના વેશીરે, જાણે નરા કૃતિની દેશીરે । ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઈચ્છાયરે ।।૧૦।।
રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે । એવા રમ્યા ન રમશે કોયેરે, જેહ ખેલને જોઈ જન મોયેરે ।।૧૧।।
એવો અકળ ખેલને ખેલીરે, ગયા સહુને વિલખતાં મેલીરે । ઘણું સાંભરેછે સમાસમેરે, તેણે બીજી વાત નવ ગમેરે ।।૧૨।।
જેમ બાજીગરની બાજીરે, જોઈ જોઈ જન થાય રાજીરે । જાણે આવી ન દીઠી ન સાંભળીરે, તેને કેમ શકે કોયે કળીરે ।।૧૩।।
અતિ અકળ ખેલને ખેલીરે, ગયા સમેટી બાજી સંકેલીરે । નટરીત નાથની ન જાણીરે, જાણ્યું અમટ રાખશે દયા આણીરે ।।૧૪।।
ત્યાંતો સંકેલી ગયા સ્વધામરે, કરી જનનાં જીવિત હરામરે । આંખ્યો થઈગઈ અભાગણીરે, કયાંથી નિરખે મૂરતિ નાથતણીરે ।।૧૫।।
મુખ અભાગિયું થયું અતિરે, કયાંથી પામે પ્રસાદી એ રતિરે । જિહ્વા અભાગણી ને અનાથરે, કયાંથી બોલે હવે હરિ સાથરે ।।૧૬।।
કાન અભાગિયા લીધા જાણીરે, કયાંથી સુણે ગે’રે સ્વરે વાણીરે । હાથ રહ્યા અભાગિયા એવારે, કયાંથી કરે હરિની હવે સેવારે ।।૧૭।।
દરશ સ્પરશ ને જે પ્રસાદિરે, કે’વું સુણવું સંબંધ એ આદિરે । થયો સંબંધ પણ રહ્યો અધુરોરે, તેતો કેમ થાય હવે પૂરોરે ।।૧૮।।
ગઈ હાથથી વાત વેગળીરે, હાર્યા મહાચતામણી મળીરે । પારસ પામ્યા’તા પરિશ્રમ પખિરે, પણ પુરી ભાગ્યમાં ન લખીરે ।।૧૯।।
થયા નિરધન ધનને હારીરે, ગયું સુખ રહ્યું દુઃખ ભારીરે । એમ થયું સૌ જનને આ વારરે, પધારતાં તે પ્રાણ આધારરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ।।૪૯।।