દોહા –
પુરૂષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ । અનેક જીવ ઊદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।।
થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ । કળ ન પડી કોઈને, એવું કરિયું દીન દયાળ ।।૨।।
અનેક જીવને ઊપરે, અઢળ ઢળ્યા અવિનાશ । જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।।૩।।
અણ ચતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ । ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।।
ચોપાઈ –
સૌ શાણા રહ્યાછે વિચારીરે, આતો વાત થઈ વણ ધારીરે । એણે ઠીક કર્યુંતું ઠરાવીરે, એતો સમઝણ અર્થ ન આવીરે ।।૫।।
જોઈ રહ્યા’તા જુજવી વાટરે, તેતો વાત ન બેઠી કોઈ ઘાટરે । કોઈ કે’તા હરિ થઈ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।।
કોઈ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે । જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।।
જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે । કે’તા તપી તપ્યા વિના તનરે, કયાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।।
કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે । કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।।
જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે । શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।।
ભકત કે’તા ભકિત કર્યા વોણુંરે, શીદ કરો કલ્યાણનું વગોણુંરે । કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મરે, શાને કરોછો ઠાલો પરિશ્રમરે ।।૧૧।।
કે’તા મારગિ નકલંક થાશેરે, કુડિયા કપટિ ઘાણે ઘલાશેરે । કે’તા પ્રણામિ રાજય સખિ પખિરે, નહિ પામે ધામ નવી સખિરે ।।૧૨।।
કે’તા ગોસ્વામિના સહુ એમરે, સમાશ્રય વિના તરે કેમરે । રામાનુજના કે’તા એહ રીતરે, જીવ તરશે ચકરાંકિતરે ।।૧૩।।
વામી કે’તા કલ્યાણ છે તારેરે, માનો મળવે પંચ મકારેરે । ભેખધારી કે’તા વણ ભેખેરે, તર્યા ના’વ્યા નજરે કોઈ દેખેરે ।।૧૪।।
તુરક કે’તા આવશે આખરીરે, તેદિ ઊદ્ધારશે કજા કરીરે । એમ બહુ પ્રકારે બહુ બહુરે, વાટ જોઈ રહ્યા’તા સહુરે ।।૧૫।।
પણ કોઈનું ધાર્યું ન રહ્યુંરે, વણ ધારે વચ્ચે બીજું થયુંરે । એવો લિધો અલૌકિક અવતારરે, સહુના ધાર્યા વિચાર્યાથી બારરે ।।૧૬।।
બહુ રહ્યા સહુ વાટ જોતારે, પીર મુરિદ ગુરુ શિષ્ય સોતારે । અણચતવી આનંદ એ’લિરે, થઈ અમૃતરસ ચાલ્યો રેલિરે ।।૧૭।।
તેમાં પડ્યા સાકરના કરારે, વરસ્યા મોતિડાંના મેઘ ખરારે । ભાગિ સરવે ભુખ્યાની ભુખરે, કર્યું દૂર દારિદ્ર દુઃખરે ।।૧૮।।
આપે આવી ગયા અણધારરે, જન ઊદ્ધારવા આણિ વારરે । અકળ કળા એની ન કળાણિરે, ડાહ્યા શ્યાણાને રહી અજાણિરે ।।૧૯।।
ન પડી ગમ રહ્યા ગમ ખાઈરે, ના’વી વાત મતિના મત માંઈરે । અગમ અપાર કા’વે અકળરે, કહો કેને પડે એની કળરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૦।।