દોહા –

અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર । અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।।

અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત । અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।।

પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ । પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।।

સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ । સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।।

ચોપાઈ –

એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે । એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।।

તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે । આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।।

ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે । ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।।

ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે । ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।।

ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે । ધન્ય નોધારાંના આધારરે, આવી ઊદ્ધાર્યા જન અપારરે ।।૯।।

ધન્ય ભકતવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે । ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।।

શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે । સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।।

કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે । એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।।

તેતો જેને થયો છે સંબંધરે, તેના છુટિયા છે ભવબંધરે । થઈ રહ્યાં તેનાં સર્વ કામરે, તન છુટે પામશે પર્મ ધામરે ।।૧૩।।

એવો મોટો પ્રતાપ પ્રગટાવીરે, ગયા મોક્ષનો માર્ગ ચલાવીરે । પૂરણ પ્રગટાવી પ્રતાપરે, પછી પધારિયા પ્રભુ આપરે ।।૧૪।।

સહુ જનની કરવા સારરે, હરિ આવ્યા હતા આણિ વારરે । પામર પ્રાણી પામ્યા ભવ પારરે, જન સ્પરશતાં પ્રાણ આધારરે ।।૧૫।।

ધન્ય ધન્ય પ્રભુ પરતાપરે, જનમન હરણ સંતાપરે । દેશો દેશ રહ્યો જશ છાઈરે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઇરે ।।૧૬।।

ધન્ય ધન્ય ધર્મના બાળરે, ધન્ય ધન્ય જન પ્રતિપાળરે । ધન્ય ધન્ય ધર્મ ધુરંધરરે, ધન્ય ધર્મ વર્મ દુઃખહરરે ।।૧૭।।

ધન્ય ધરણિ પર ધર્યું તનરે, ધન્ય આપ સંબંધ તાર્યા જનરે । ધન્ય ધન્ય ધામના ધામીરે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીરે ।।૧૮।।

કર્યો પરિપૂરણ પરમાર્થરે, તેમાં કૈ જીવનો સર્યો અર્થરે । ધન્ય રાખી ગયા રૂડી રીતરે, તેમાં ઊદ્ધાર્યા જીવ અમિતરે ।।૧૯।।

ધન્ય ધન્ય સર્વેના ધણીરે, મહિમા મોટપ્ય ન જાય ગણીરે । ધન્ય ધન્ય બિરુદને ધારીરે, ગયા અનેક જીવ ઊદ્ધારીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૧।।