દોહા –

જય જય જગ જીવનને, જય જય જગપતિરાય । જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।।

જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર । જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।।

જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ । જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।।

જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈક કામ । જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।।

ચોપાઈ –

જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે । જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।।

જયજય જનક જીવનારે, સુખદાયક છો સદૈવનારે । જય જનના જનની જેવારે, જય સદા ઈચ્છોછો સુખ દેવારે ।।૬।।

જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે । જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।।

જય જે કર્યાં આવી કારજરે, જોઈ જન પામ્યા છે આચરજરે । અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।।

બહુ ઊપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે । તેતો લખ્યા જેટલા લખાણારે, કૈક રહ્યા ને કૈક કે’વાણારે ।।૯।।

બહુ પ્રકારે ઊદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે । સાંગોપાંગ અથ ઈતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।।

જેજે દીઠી આવી જાણ્યા માંઈરે, તેતે લખી થોડી ઘણી કાંઈરે । એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।।

તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક દિન દોય માસરે । એટલામાં કર્યાં જેજે કાજરે, તેને કોણ લખે કવિરાજરે ।।૧૨।।

થોડામાંય લેજો ઘણું જાણીરે, સર્વે વાત કેથી ન કે’વાણીરે । આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણોરે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણોરે ।।૧૩।।

તેતો સર્વે જાણજો સત્યરે, નથી અક્ષર એકે અસત્યરે । પણ પૂરી પ્રતીતિ જેને નોયરે, તેને આગળ્ય કેશો માં કોયરે ।।૧૪।।

એને લખી લખાવી માં દેશોરે, જેને હોય હરિમાં અંદેશોરે । તેને અર્થે આ વાત નહિ આવેરે, જેનું મન માન્યું કાવે દાવેરે ।।૧૫।।

જે નો’ય પુરી પ્રતિતીવાળારે, તેતો કયાંથી થાય સુખાળારે । સુખ લેશે સાચા સતસંગીરે, સુણશે કે’શે આ ગ્રંથ ઊમંગીરે ।।૧૬।।

ગાશે કે’શે સુણશે આ ગ્રંથરે, તેના સર્વે સરશે અર્થરે । આ લોકમાં આનંદ રે’શેરે પરલોકે મોટું સુખ લેશેરે ।।૧૭।।

માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટુંરે, ખરાખરું જાણો નથી ખોટુંરે । રખે અપોચિયાની લઇ ઓટરે, પરિપૂરણમાં ખોળો ખોટરે ।।૧૮।।

સમર્થથી શું શું ન થાયરે, એમ સહુ સમજો મન માંયરે । એમ સમઝી સરવે સુજાણરે, વાત પકી કરી છે પ્રમાણરે ।।૧૯।।

તેને તક પાકી ગઈ પુરીરે, કોઈ વાત ન રહી અધુરીરે । પામ્યા પૂરણ પરમાનંદરે, થયા ન્યા’લ કે’ નિષ્કુલાનંદરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૨।।