દોહા –

ધન્ય ધન્ય આ અવતારને, ઊદ્ધાર્યા જીવ અપાર । દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।।

અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ । પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।।

અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ । અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।।

અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર । અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।।

રાગ સામેરી –

અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર । અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।।

અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ । નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।।

બાલા ભકિત જે પ્રેમવતી, તેના થયા છે તન । ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।।

અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ । માત તાતના મનનાં, દૂર કર્યા ં છે દુઃખ ।।૮।।

સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન । સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।।

કૈકૈ કારજ કરિયાં, વાલે વળી વનમાંય । ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।।

અનેક જીવ ઊદ્ધારવા, ફરિયા દેશ વિદેશ । નિર્ભય કર્યા નારી નરને, આપી ઊત્તમ ઊપદેશ ।।૧૧।।

ધામ તીરથ ધરા ઊપરે, જોયા જે જીવન પ્રાણ । દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।।

કલિયુગનું રાજય કાઢિયું, સતયુગ વરતાવ્યો સોય । શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય ।।૧૩।।

મનુષ્ય પશુધર્મ પાળતાં, તે શુદ્ધ કર્યાં નર નાર । સત અસત ઓળખાવિયું, સમઝાવ્યું સાર અસાર ।।૧૪।।

પંચ વ્રત પ્રગટ કરી, પ્રવર્તાવ્યાં પૃથવી માંય । નિ’મ ધાર્યાં નર નારીયે, કળિમળ ન રહ્યું કયાંય ।।૧૫।।

પવિત્ર પ્રાણધારી કર્યાં, તેતો પોતાને પ્રતાપ । જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ ।।૧૬।।

કૈકૈ કારજ કરિયાં, જીવના કલ્યાણ કાજ । ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યાં જન આજ ।।૧૭।।

રીત અલૌકિક લોકમાં, દેખાડી દીનદયાળ । સુખી અંતરે સૌને કર્યાં, ધન્ય ધન્ય ધર્મના બાળ ।।૧૮।।

ઊત્સવ સમૈયે ભેળા કર્યા, સતસંગી વળી સંત । દરશ સ્પરશ દઈ આપનું, આપિયાં સુખ અત્યંત ।।૧૯।।

જુગત્યે જન જમાડિયા, પોતે લઈ પકવાન । મગન કર્યા સંત સહુને, દઇને દરશન દાન ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૩।।