દોહા –
જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દિન । રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભકિત ધર્મને ભવન ।।૧।।
ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ । પિતાથકી તે પામિયા, ઊપવીત અતિ નિષ્પાપ ।।૨।।
ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ । પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહિ વાસ ।।૩।।
સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર । જે અર્થે આ અવતાર છે, તે કરૂં હવે નિરધાર ।।૪।।
ચોપાઈ-
પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઈચ્છા પૂરી વળી રે । મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।।
પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે । જોગી નવલાખ જોઈ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।।
તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે । એમ જીવ ઊદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।।
જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે । દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।।
નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે । એમ જીવ જકતના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।।
તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે । ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।।
ગિરિ ગુફામાં જે ગેબ હતા રે, કઈ સમુદ્ર તટ સેવતા રે । તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે ।।૧૧।।
નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજરે । એમ ઊદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે ।।૧૨।।
સોરઠદેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે । તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવપર દયા રે ।।૧૩।।
એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુકતસાથ રે । કરી સુરત્યને જોયા સંભાળી રે, મુનિ મુકતની મંડળી રૂપાળી રે ।।૧૪।।
જયારે નાથે કર્યું ચતવન રે, આવ્યા જયાં હતા ત્યાંથી જન રે । આવી મળ્યા મહારાજ સંગ રે, મુકત મંડળ અતિ ઊછરંગ રે ।।૧૫।।
લાવ્યા પાયે જોડી જુગ પાણ રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે । આગ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઈ બોલીયા શ્યામ સુધીર રે ।।૧૬।।
મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે । પછી મરિચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે ।।૧૭।।
પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે । ત્યારે નાથ કે’ તારવા જંત રે, દેશો દેશ ફરો બુદ્ધિવંત રે ।।૧૮।।
અહસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો રે । વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે ।।૧૯।।
દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે ।તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ રે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષષ્ઠઃ પ્રકારઃ ।।૬।।