દોહા –

વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન । કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।।

કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ । કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઊપદેશ ।।૨।।

જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર । કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।।

મુકતને માનિની મળિ, વળિ કરે પરસ્પર વાત । દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।।

ચોપાઈ –

માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે । પુરૂષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।।

રુડો રહસ્ય પુરૂષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે । આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।।

બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઈરે, તેણે ખરી લાજ વળી ખોઈરે । શિવ મોહિની જોઈ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।।

ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે । જોઈ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।।

પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મનરે । એકલશ્રુંગી વસે વનમાંઈરે, જેને ભામિની ભાન ન કાંઈરે ।।૯।।

દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે । ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।।

નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઈચ્છા બેઊએ વરવા કરીરે । દેવગુરુ ભૂલ્યા દિશ પોતેરે, નિજ અનુજવધૂ રુપ જોતેરે ।।૧૧।।

યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે । આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવારે, એહ આદ્ય બીજા કઇ એવારે ।।૧૨।।

નર અમર નારીને સંગેરે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગેરે । જોગી જતિ તપસી સંન્યાસીરે, વનવાસી નિરાશી ઊદાસીરે ।।૧૩।।

ડાહ્યા શાણા ચતુર સુજાણરે, કવિ કોવિદ નારીના વેચાણરે । ભટ પંડિત પ્રવીણ પુરાણીરે, જેની સુધા સમાન છે વાણીરે ।।૧૪।।

હોય જશ જગતમાં જેનોરે, નારી ન મળી ત્યાં લગી તેનોરે । ઋષીશ્વર મુનીશ્વર મનેરે, ડરી વનિતાથી વસે વનેરે ।।૧૫।।

જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી બન્ધ જેવો રે । માટે એથી ઊગારી લેજોરે, બિજું કેવું ઘટે તે સુખે કે’જોરે ।।૧૬।।

નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામરે । જેજે કહો તેતે અમે કરીયેરે, સર્વે વચન શિશપર ધરિયેરે ।।૧૭।।

તન મનના સુખને ત્યાગીરે, રે’શું વચનમાં અનુરાગીરે । જેહ અર્થે મોકલ્યા છે આંઈરે, તેમાં કસર ન રાખીએ કાંઈરે ।।૧૮।।

પણ અરજી કરી તમને અમેરે, દીલ ધારજો દીનબંધુ તમેરે । અમે કહ્યો તે અમારો આશેરે, મારા પ્રાણપતિ તમ પાસેરે ।।૧૯।।

એમ બોલ્યા મુનિ સહુ મળિરે, લીધું સર્વે પ્રભુએ સાંભળીરે । પછી હસિ બોલ્યા અવિનાશરે, ધન્ય નિરમોહી મારા દાસરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તમઃ પ્રકારઃ ।।૭।।