દોહા-

મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।

દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર । તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।

અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ । અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।।

પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન । જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।

ચોપાઈ –

એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે । જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે । લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।

માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે । પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।

તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે । જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।

સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે । સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।

રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે । કરતાં એ લીળાનું ચતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।

એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે । તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।

નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે । સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।

જોઈ એવાને જકતનાજનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે । સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।

એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે । એવો કર્યો મોટો ઊપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।

બંધ થઈ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે । જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંયરે ।।૧૫।।

આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે । જયારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।

સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે । તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।

બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે । તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।

મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે । જેને ઊપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।

સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે । તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।