દોહા-

દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર । આવિને નિરખે નાથને, તેણે લિયે સુખ અપાર ।।૧।।

સમૈયે સમૈયે સુખદેવા, ઊત્સવ કર્યા અનેક । દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ।।૨।।

તેહજ અર્થે તાન છે, જીવ મોકલવા નિજધામ । આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ।।૩।।

એટલા માટે અનેક રીતે, કરે ઊપાય આઠું જામ । જયાંજયાં ઊત્સવ સમૈયા કર્યા, કહું તેતે ગામનાં નામ ।।૪।।

ચોપાઈ –

સહુથી મોર્યે ઊત્સવ માંગરોલરે, થયા જન ત્યાં ભેળા અતોલરે પછી લોજે કરી બહુ લીળારે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળારે ।।૫।।

અગત્રાયે આઠમ ઊત્સવરે, કરી તાર્યા જીવ કૈ ભવરે । ભલી ભાડેરે આઠમ ભજાવીરે, કરી લીળા માણાવદ્ર આવીરે ।।૬।।

મેઘપુરના ઊત્સવ માંઈરે, દ્વિજ જમાડી કરી ભલાઈરે । પંચાળાનો સમૈયો પ્રસિદ્ધરે, આપ્યાં સુખ સહુને બહુવિધરે ।।૭।।

જૂનેગઢ જઈ મહારાજરે, કરી ઊત્સવ કર્યાં બહુ કાજરે । ધોરાજીની લીળા ધન્યધન્યરે, જોઈ જન થયા છે મગનરે ।।૮।।

કરિયાણામાં ઊત્સવ કીધોરે, બહુ જનને આનંદ દીધોરે । ગઢડાની તો નહિ આવે ગણતિરે, યાં તો ઊત્સવ કર્યા છે અતિરે ।।૯।।

કારિયાણીના કેટલાક કહુંરે, યાં તો લીળા કરી બહુ બહુરે । સારંગપુર છે સારૂં ગામરે, કરી ઊત્સવ સાર્યું સૌનું કામરે ।।૧૦।।

બોટાદમાં લીળા બહુ બનીરે, ભલી ભજાવિ છે હુતાશનીરે । લોયે લીધો સહુ જને લાવરે, પુરા કર્યા છે ભકતના ભાવરે ।।૧૧।।

નાગડકાની લીળા જન જાણેરે, સારો સમૈયો સુંદરીયાણેરે । કરમડની વાત શું કહુંરે, નાથ નિરખી સુખી થયા સહુરે ।।૧૨।।

કાળુતળાવ માંડવી તેરારે, કર્યા ભુજે ઊત્સવ કઈ વેરારે । મછિયાવ્યમાં મહારાજ આવીરે, ભલિ હુતાશની ત્યાં ભજાવીરે ।।૧૩।।

જેતલપુરમાં જગન કીધારે, કંઈ જનને શરણે લીધારે । અમદાવાદની ચોરાશી કીધીરે, કર્યું ખોખરે કામ પરસિધિરે ।।૧૪।।

આદરોજનો અન્નકૂટ કીધોરે, કર્જીસણે જને લાવો લીધોરે । સિદ્ધપુરનો સમૈયો સુંદરરે, કર્યો અલબેલે આનંદભરરે ।।૧૫।।

વડથલ પિપળિ તવરા કાવ્યારે, થયા સમૈયા પોતે ન આવ્યારે । ડભાણની લીળા કહી દાખુંરે, જિયાં જન મળ્યા હતા લાખુંરે ।।૧૬।।

વડતાલની લીળા વખાણીરે, લખે લખતાં મ ન લખાણીરે । વડોદરામાં વાલ્યમ જઇરે, તાર્યા જન દરશન દઈરે ।।૧૭।।

સુરત પધારિ શ્યામ સુંદરરે, તાર્યા દરશને કઇ નારી નરરે । ધર્મપુરમાં ધરિયો મુગટરે, કર્યો વાંસદે ઊત્સવ અમટરે ।।૧૮।।

એહ રીત્યે બીજે ઘણે ગામરે, સંગે સંત લઈ ફર્યા શ્યામરે । એમ પવિત્ર કરી પૃથવીરે, તાર્યા જીવ કાઢિ રીત નવીરે ।।૧૯।।

અતિ આનંદ જનને પમાડ્યુંરે, બ્રહ્મમો’લનું બાર ઊઘાડ્યુંરે । સહુ જાઓ ધામમાં આ સમેરે, સ્વામી સહજાનંદને હુકમેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોદશઃ પ્રકારઃ ।।૧૩।।