દોહા –
એમ અનેક ઊત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ । આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ ।।૧।।
દેશ પ્રદેશે પધારિયા, જનહેતે જીવન પ્રાણ । પરમારથ અર્થે કરી, પ્રગટયા શ્યામ સુજાણ ।।૨।।
દયાળે દયા કરી, ધરી મૂરતિ મંગળરૂપ । જેજે પ્રસંગ જન પામિયા, તે થયા શુધ્ધ સ્વરૂપ ।।૩।।
નખશિખ રુપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ । જેણે નિરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઈ ખોટ ।।૪।।
ચોપાઈ –
જેણે જોયાં ચરણ રૂપાળાંરે, સોળે ચિહ્ન સહિત શોભાળાંરે । પગ જમણા અંગુઠામાં રેખરે, જોઈ મિટે તે મેષોનમેષરે ।।૫।।
જેણે પગ આંગળી વળી પેખીરે, પામ્યા ધામ ધન્ય કમાઈ લેખીરે । નખ જોયા છે જેણે નિહાળીરે, જોઈ ફણાની શોભા રુપાળીરે ।।૬।।
ઘુંટી પેની પડી પેખી હામેરે, તેતો પો’તા છે અક્ષર ધામેરે । જાનુ ઊરૂ જોયા જેણે ઝાંખીરે, દુંદ ફાંદ જોઈ રૂદે રાખીરે ।।૭।।
કટિ જોઈ મોહ્યું મન જેનુંરે, થયું અક્ષરમાં ઘર તેનુંરે । જોઈ નાભિને નયણાં ભરીરે, વળી પેટ જોયું પ્રેમે કરીરે ।।૮।।
નળ સ્તન નિરખિયા જેણેરે, કર્યો વાસ અક્ષરમાં તેણેરે । છાતિ હૈયું જોયું જેણે હેરીરે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરીરે ।।૯।।
કુખ પડખાં બે જે બગલુંરે, તે જોઈ કરી લીધું છે ભલુંરે । ખભા ભુજા જોઈ જેણે દ્રગેરે, તેહ પામ્યા ધામ ઊછરંગેરે ।।૧૦।।
બેઊ ડેડરિયો બહુ રુપાળીેરે, કોણી કલાઈ જેણે નિહાળીરે । કાંડાં કરભ જોઈ મન મોહ્યુંરે, હાથ હથેળીયે ચિત્ત પ્રોયુંરે ।।૧૧।।
જોઈ જે જને રેખા રુપાળીરે, પામ્યા બ્રહ્મમોલ ભાગ્યશાળીરે । પોંચેપાંચ આંગળી પ્રવરરે, નિરખિ તસુ ટેરવાં સુંદરરે ।।૧૨।।
નખ નિરખિ હરખશે ઊરરે, જાશે બ્રહ્મમો’લે જરૂરરે । કર સુંદર જોશે બે સારરે, નિરખે પરમ સુખ દેનારરે ।।૧૩।।
કંઠ ખાડા વચ્ચે એક તિલરે, દાઢિ હોઠ દાંત જે અવલરે । જિહ્વાં નાસિકા કપોળ સારરે, જોયે પરમ સુખ દેનારરે ।।૧૪।।
ડાબા કાનમાં બદુ જે શ્યામરે, જે જાુવે તે પામે સુખધામરે । વાંસે તિલ મોટો જોયો જેણેરે, ખરૂં કર્યું ધામે જાવા તેણેરે ।।૧૫।।
આંખો પાંપણો ભ્રકુટિ ભાળીરે, ભાલ વચ્ચે રેખા જે રુપાળીરે । નલવટ તાળુ છે રુપાળું રે, જેણે જોયું મુખ મરમાળુંરે ।।૧૬।।
વળી કેશ જોયા શ્વેત શ્યામરે, તે સહુ પામીયાં પરમ ધામરે । જેણે નખશિખ નિરખ્યા નાથરે, તે તો સહુ જન થયાં સનાથરે ।।૧૭।।
એવા સર્વે અંગે સુખકારીરે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારીરે । એવી મૂરતિ મંગળરુપરે, નખશિખા લગી સુખ સ્વરુપરે ।।૧૮।।
નથી એમાં અમંગળ અણુંરે, શું હું કહી દેખાડું ઘણુંઘણુંરે । મૂર્તિ મનોહર છે મરમાળીરે, બ્રહ્મ’મોલ જવાય એને ભાળીરે ।।૧૯।।
અતિ અનુપમ છે જો અકળરે, બહુ સહુથી છે જો સબળ રે । એ તો સર્વના કારણ આવ્યારે, જે કોઈ સ્વામી સહજાનંદ કા’વ્યારે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્દશઃ પ્રકારઃ ।।૧૪।।