દોહા –

એમ અનેક રીતે વળી ઊરમાં, જે સંભારે સુંદર શ્યામ । તે તન છુટે પામશે, અખંડ અક્ષર ધામ ।।૧।।

મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ । એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યાં કૈક જનનાં વૃંદ ।।૨।।

સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરૂર । મૂરતિ શ્રી મહારાજની, દઢ ધારવા જેવી ઊર ।।૩।।

જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત । સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત ।।૪।।

ચોપાઈ –

વળી સંભારવા ઘનશ્યામરે, પુરૂષોત્તમ પૂરણકામરે । કેને દેતા ફુલડાંની માળરે, કેને દેતા પ્રસાદિના થાળરે ।।૫।।

કેને દેતા વસ્ત્ર ને ઘરેણાંરે, કેને ફળ દલ સુખ દેણાંરે । કેને અન્નકણ કોરી રૂપૈયારે, દિયે નાથ દેખિને દુઃખિયારે ।।૬।।

કેને આપે છે ઘોડા ઘરેણાં ભારીરે, કેને આપે છે પાઘ ઊતારીરે । એવા દીનબંધુ છે દયાળુરે, સંભારતાં થાયે જો સુખાળુરે ।।૭।।

કેને મળે છે બાથમાં ઘાલિરે, કેને મગન કરે ચરણ આલિરે । કેને મિઠી વાણ્યે બોલાવેરે, કહે એવું જેવું એને ભાવેરે ।।૮।।

કેને અમૃત દૃષ્ટે નિહાળેરે, જોઈ જનતણા તાપ ટાળેરે । કેને બેસારે પ્રભુજી પાસરે, કેને સાથે કરે હરિ હાસરે ।।૯।।

એવી મૂરતિ અંતર ધારીરે, સુતાં બેઠાં રાખે જે સંભારીરે । તે સૌ અક્ષરના અધિકારીરે, થાશે નિશ્ચે કરી નરનારીરે ।।૧૦।।

જાણો આદ્ય અંત ને મધ્યેરે, સુખી થયા શ્યામ સંબંધેરે । જેણે જોયા જગનો આધારરે, તેનો બેડો થયો ભવપારરે ।।૧૧।।

હસતા રમતા ભમતા ૩ભોમેરે, દિઠા જોઈ રે’તા વાલો વ્યોમેરે । વળી ગતા વાતા ને ફરતારે, કાજુ કરનાં લટકાં કરતારે ।।૧૨।।

નીર ક્ષીર સમીર પિતારે, આસન કરતા ને મૌન ગ્રહેતારે । એમ જેજે રીત્યે જને જોયારે, નિરખી નાથને નયણે મોયારે ।।૧૩।।

તેતો પામિયા પરમ પ્રાપતિરે, કરી અક્ષરધામમાં ગતિરે । આજ અનેક રીત્યે અવિનાશરે, જોઇ સુખ પામ્યા બહુ દાસરે ।।૧૪।।

એવો મોટો મહિમા મૂર્તિનોરે, નવીન સુખ પામવા નગિનોરે । કહી કહીને કહ્યું જે ઘણુંરે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણુંરે ।।૧૫।।

તોયે યથારથ છે જેમરે, કે’તાં કે’તાં ન કે’વાય તેમરે । આજ પ્રગટાવી પ્રતાપરે, તાર્યા અનેક જીવને આપરે ।।૧૬।।

સાર્મિથ સહુથી છે ન્યારીરે, વાવરી છે સમર્થ સુખકારીરે । અનંત પો’ચાડયા અક્ષરધામેરે, સુખદાયક શ્રીઘનશ્યામેરે ।।૧૭।।

ધર્મ એકાંતિક તે સ્થાપિયોરે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયોરે । અસુર ગુરુ નૃપનો કિધો નાશરે, નિજ સાર્મિથએ અવિનાશરે ।।૧૮।।

પુરૂષોત્તમ પોતે પધારિરે, લિધા અનેક જીવ ઊદ્ધારિરે । આપ સાર્મિથ વાવરી ઘણિરે, જોઈ નહિ કરણી જીવતણિરે ।।૧૯।।

આજ બહુ જન તારવા આવ્યારે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યારે । જે જન સમરશે સહજાનંદરે, તે જન પામશે પરમ આનંદરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાદશઃ પ્રકારઃ ।।૧૮।।