દોહા –

દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત । સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત ।।૧।।

સ્પર્શ પુરૂષોત્તમનો, કહો જીવને થાશે કેમ । એ વાત નથી વાત સરખી, સહુ ઊર વિચારજો એમ ।।૨।।

અમાયિક માયિકનો, જાણો માઘો થાવો મેળાપ । ભાનુ રજની ભેળા મળે, એવો કર્યો નથી કેણે થાપ ।।૩।।

તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરૂષોત્તમ । ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ ।।૪।।

ચોપાઈ –

પુરૂષોત્તમ જે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે । અતિ દુર્લભ દર્શન જેનાંરે, ભવ બ્રહ્માને ન થાય તેનાંરે ।।૫।।

જયારે અજ-ઈશને અગમરે, તારે મનુષ્યને કયાંથી સુગમરે । જેનાં દરશન પણ ન થાયરે, તારે તેને કેમ સ્પર્શાયરે ।।૬।।

અતિ દરશ પરશ જેનાં દૂરરે, તેતો કર્યાં હરિયે હજુરરે । માટે જે પ્રાણી પામિયા સ્પર્શરે, તેતો થયા સહુથી સરસરે ।।૭।।

જેને મળિયા હૈયામાં ઘાલીરે, તેને બેઠા છે અક્ષર આલિરે । જેની છાપિ છે ચરણે છાતિરે, તેની પ્રાપતિ નથી કે’વાતિરે ।।૮।।

જેને માથે હાથ મુકયો નાથેરે, તેતો મળી બેઠા મુકત સાથેરે । જેને ચાંપવા આપ્યા છે ચરણરે, તેને રહ્યું નહિ જન્મ મરણરે ।।૯।।

જેણે અત્તર ચોળ્યાં છે અંગેરે, થયો સ્પર્શ એહ પ્રસંગેરે । જેણે ચોળ્યું છે તેલ ફુલેલરે, અતિ સારી સુગંધિ ભરેલરે ।।૧૦।।

અંગે ચોળ્યું તેલ મીણતણુંરે, એમ સ્પર્શાણું અંગ આપણુંરે । એહ સ્પર્શનું ફળ જે પામેરે, જાયે તે જન અક્ષર ધામેરે ।।૧૧।।

વળી નવરાવતાં નાથનેરે, થયો સ્પર્શ તેનો હાથનેરે । અંગ ચોળી નવરાવ્યા નીરેરે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરેરે ।।૧૨।।

વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શરે, તે આપનાર સુખનો સરસરે । ચરચ્યાં ચંદન મળીયાગરરે, સારી સુખડ્ય કાજુ કેસરરે ।।૧૩।।

કર્યો કુંકુમનો ચાંદલોરે, ભાવે કરી હરિભકતે ભલોરે । માળા પે’રાવતાં સ્પર્શ થયોરે, કુંડળ ધરતાં કર અડીગયોરે ।।૧૪।।

બાજુ બેરખા બાંધતાં બાંયેરે, પૂજા કરીને લાગતાં પાયેરે । પૂજા કરતાં સ્પર્શાણું પંડરે, તેતો પામશે ધામ અખંડરે ।।૧૫।।

લેતાં હાથોહાથ વળી તાળીરે, ર્સ્પિશ સુંદર મૂર્તિ રૂપાળીરે । નખશિખા સ્પર્શતાં નાથરે, ગયા સ્વધામે થઇ સનાથરે ।।૧૬।।

એવો સ્પર્શ પુરૂષોત્તમ તણોરે, નથી કે’વાતો છે અતિ ઘણોરે । સ્પર્શ્યાં ચરણારવદ પાવનરે, સહુ જતને પૂજેછે જનરે ।।૧૭।।

સ્પર્શ્યાં વસ્ત્ર છે પૂજવા જેવાંરે, પૂજયાં ચંદન અંગ ધારી લેવાંરે । પૂજયા હાર તે પે’રવા હૈયેરે, જેથી અક્ષરધામમાં જૈયેરે ।।૧૮।।

જેજે વસ્તુ સ્પર્શી હરિ અંગરે, તેતો કલ્યાણકારી જેમ ગંગરે । સ્થાવર જંગમ જળ સ્થળ જેહરે, થયાં હરિસંબંધે શુદ્ધ તેહરે ।।૧૯।।

સ્પર્શી વસ્તુ એ મંગળકારીરે, ત્યારે પુરૂષોત્તમની રીત્ય ન્યારીરે । માટે જેને સ્પર્શ્યા પરબ્રહ્મરે, તેને પરમ ધામ છે સુગમરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકોનવશઃ પ્રકારઃ ।।૧૯।।