દોહા –

શ્રીમુખથી સુણી સામ્રથી, નથી કે’વાતિ તે કોએ રીત । કહિયે હૈયે સમાય નહિ, છે એવી આજની અગણિત ।।૧।।

એક સૂર પ્રકાશે સહુને, એક શશિ કરે શીતળ । એક મેઘ પલાળે પૃથવી, વરસાવી સુંદર જળ ।।૨।।

એહ એક પણ કરે એટલું, સહુને સરખો સમાસ । આતો અનેક રીતશું, આવ્યા ઊદ્ધારવા અવિનાશ ।।૩।।

જેમ જવાળા બાળે શુદ્ધાશુદ્ધને, શુદ્ધાશુદ્ધ પલાળે મેઘ । શુદ્ધાશુદ્ધ સમઝે નહિ, જયારે વાયુ વાય કરી વેગ ।।૪।।

ચોપાઈ –

એમ આજ તાર્યા છે અપારરે, ગુણાગુણ ન જોયા લગારરે । જેમ મોટો સદાવ્રતી હોયરે, તે તો ભુખ્યાનું મુખ ન જોયરે ।।૫।।

તેમ આજ સદાવ્રત મોટુંરે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યુંરે । પશુ પંખી પન્નગ નર નારીરે, લિધા આપ સાર્મિથયે તારીરે ।।૬।।

દેવ દાનવ ભૂત ભૈરવરે, એહ આદિ ઊદ્ધારિયા સરવરે । કીટ પતંગ પરજંત પ્રાણિરે, તાર્યા અગણિત લિયો જાણિરે ।।૭।।

જેજે આસમે જગમાંયે જીવરે, થયા સત્સંગ સંબંધે શિવરે । જેમ એક હોય ચતામણીરે, ટાળે પીડા તે ત્રિલોક તણીરે ।।૮।।

તેમ બહુ ચતામણિ હોયરે, તારે દુઃખી રહે નહિ કોયરે । સંત સંન્યાસી સત્સંગી બટુરે, એને સંબંધે પામેછે સુખ મોટુંરે ।।૯।।

ચતામણિ ઘણિઘણિ હરિરે, તેની વાત જાતી નથી કરિરે । માટે હરિ હરિના જે દાસરે, તેથી પામ્યાં કૈ બ્રહ્મમો’લે વાસરે ।।૧૦।।

એનું આશ્ચર્ય માનો ન કોયરે, સમર્થથી શુંશું ન હોયરે । સમર્થ સરવ પરકારેરે, કરે તેતે જેજે મન ધારેરે ।।૧૧।।

તેની કોણ ૫આડી કરનારરે, ના હોય ધણિનો ધણિ નિરધારરે । માટે સહુ માનિલેજો સઇરે, આજ એમ ઊદ્ધાર્યા છે કંઈરે ।।૧૨।।

જેમ દરશ સ્પરશ પરસાદિરે, આપિ તાર્યા નર નારી આદિરે । તેમ હરિજન ત્યાગી ગૃહીરે, તેથી પણ ઊદ્ધારિયાં કહીરે ।।૧૩।।

વળી આ સમે ધરિયું જે નામરે, તેને જપતાં જાયે અક્ષરધામરે । નીલકંઠ નામ ઘનશ્યામરે, સદા સર્વ સુખનું ધામરે ।।૧૪।।

જેહ નામે પામે સુખ સહુરે, એવું નામ અનુપમ કહુંરે । સહજાનંદ આનંદ સુખકારીરે, એહ નામ જપેછે નર નારીરે ।।૧૫।।

સ્વામિનારાયણ નારાયણરે, ભજી કૈ થયા ધામ પરાયણરે । લેતાં નારાયણ મુનિ નામરે, પામ્યા કંઇ સુખ વિશ્રામરે ।।૧૬।।

હરિ હરિકૃષ્ણ કૃષ્ણ કે’તાંરે, તર્યા અપાર એનામ લેતાંરે । એવા નામના નામી જે સ્વામીરે, તે છે અક્ષરધામના ધામીરે ।।૧૭।।

સહુના નિયંતા સહુના નાથરે, સહુના સ્વામી સુખની મીરાંથરે । એવું નામ જપે જન જેહરે, પામે પૂરણ સુખને તેહરે ।।૧૮।।

હાલે હૂકમ એ નામ તણોરે, આજ અમલ એહનો ઘણોરે । શક્કો સર્વે પ્રકારે છે એનોરે, નથી અમલ આજ બીજા કેનોરે ।।૧૯।।

કોઈ માં લિયો બીજાની ઓટરે, જેમાં જાયે જાણો જન ખોટરે । ખરાખરી એ વાત ખોટી નથીરે, વારેવારે શું કહિયે જો કથીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાવશઃ પ્રકારઃ ।।૨૨।।