દોહા –

પુરૂષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ । સર્વે સાર્મિથ સહિત પોતે, આજ આવિયા મહારાજ ।।૧।।

અનેક ઊપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ । આ સમે જેનો જન્મ છે, તેને આવિગયું ઘણું ઠેપ ।।૨।।

દાસના દરશન સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ । ત્રિલોકના જીવ તારવા, વડુ મંડાણું છે વા’ણ ।।૩।।

પાર ઊતાર્યા પરિશ્રમ વિના, બેસી નામ રુપિયે નાવ । જે જને જપ્યા જીભથી, તે તરિગયા ભવદરિયાવ ।।૪।।

ચોપાઈ –

એવો નામનો છે પરતાપરે, ધન્ય જે જન જપે આપરે । પૂર્ણ પુરૂષોત્તમ સુખધામરે, તેણે ધર્યું સહજાનંદ નામરે ।।૫।।

સહજાનંદ સહજાનંદ ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે । સહજાનંદ નામ જેને મુખેરે, તેતો બ્રહ્મપુર જાશે સુખેરે ।।૬।।

જેહ મુખે એ નામ ઊચ્ચારરે, તેતો પામી ગયા ભવપારરે । સહજાનંદ નામ સમરતાંરે, નથી પરિશ્રમ પાર ઊતરતાંરે ।।૭।।

સહજાનંદ નામ જે વદનેરે, તેતો પહોત્યા બ્રહ્મસદનેરે । સહજાનંદ સહજાનંદ ગાતાંરે, નથી કઠણ એને ધામ જાતાંરે ।।૮।।

સહજાનંદ સહજાનંદ કહિયેરે, જાણે એથી પરમ પદ લહિયેરે । જેને અખંડ એ છે રટનરે, તેને ન રહે ભવ અટનરે ।।૯।।

સ્વામિનારાયણ શબદેરે, પ્રાણિ વાસ કરે છે બેહદેરે । સહજાનંદ નામ સુણ્યું કાનેરે, તેને આવ્યું છે એ ધામ પાનેરે ।।૧૦।।

સહજાનંદ એ નામ સાંભળીરે, જાયે પાપ પૂરવનાં બળીરે । સુણિ સ્વામિનારાયણ નામરે, સર્યાં કઈક જીવનાં કામરે ।।૧૧।।

કાને એ નામની ભણક પડિરે, તેને અક્ષરપોળ ઊઘડીરે । સ્વામિનારાયણની કીરતિરે, સુણિ રહે નહિ પાપ રતિરે ।।૧૨।।

સ્વામિનારાયણની જે કથારે, સુણે જાયે નહિ જન્મ વૃથારે । સ્વામિનારાયણ નામ પદરે, સાંભળતાં આવે સુખ સદરે ।।૧૩।।

છંદ અષ્ટક ને વળી શ્લોકરે, સુણે ભણે પો’ચે બ્રહ્મલોકરે । સાખિ શબ્દ સ્વામિનામે જેહરે, સર્વે કલ્યાણકારી છે તેહરે ।।૧૪।।

શ્વાસ ઊશ્વાસે સમરે સ્વામીરે, તેની વ્યાધિ જાયે સર્વે વામીરે । રહે રસનાએ રવ એનોરે, ધારા અખંડ ઊચ્ચાર તેનોરે ।।૧૫।।

તેતો પામેછે પરમ પ્રાપતિરે, નથી ફેર તેમાં એક રતિરે । એવો નામ તણો પરતાપરે, કહ્યો સહુથી અધિક અમાપરે ।।૧૬।।

જાણે અજાણે જપશે જેહરે, પરમધામને પામશે તેહરે । એવું આજ ઊઘાડ્યું છે બારરે, કરવા બહુ જીવને ભવપારરે ।।૧૭।।

સકાર કે’તાં સર્વે દુઃખ વામેરે, હકાર કે’તાં હરિધામ પામેરે । જકાર કે’તાં જયજય જાણોરે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણોરે ।।૧૮।।

દકાર કે’તાં દદામા દઇનેરે, પામે ધામ સહજાનંદ કહિનેરે । સ્વામિનારાયણ નામ સારરે, જેથી જીવ તર્યા છે અપારરે ।।૧૯।।

કલિયુગમાં કર્યું છે વા’ણરે, રે’વું નારાયણ પરાયણરે । નથી એથી વાત કાંય મોટિરે, મર કરે ઊપાય કોઇ કોટિરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવશતિતમઃ પ્રકારઃ ।।૨૩।।