દોહા –

વળતું વાલમે વિચારીયું, ઊત્સવ કરવા અનેક । સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।।

વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર । એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।।

અખંડ રહેશે ઊત્સવ એહ, નથી એક બે વરસની વાત । માટે ઊપાય બીજો કરૂં, જેથી થાશે સહુ રળીયાત ।।૩।।

મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારૂં માંય । સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।।

ચોપાઈ –

જિયાંલગિ દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે । પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।।

માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે । તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।।

એમ વાલમે કર્યો વિચારરે, માંડયાં મંદિર કરવા તે વારરે । અમદાવાદમાં કરાવિ મંદિરરે, તિયાં બેસારિયા બેઊ વીરરે ।।૭।।

નર નારાયણ સુખરાશીરે, પધરાવી કરાવી ચોરાશીરે । જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।।

(દોહા – મંગલમૂર્તિ મહાપ્રભુ , શ્રીસહજાનંદ શ્યામ । સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।।

ગોવદને ગમતું સદા, ગામ વ્રતાલ વિશેષ । જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।)

વરતાલ મંદિર આદર્યુંરે, તેતો સહુથી સરસ કર્યુંરે । નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।।

પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે । લક્ષ્મીનારાયણ જાણો જોડ્યરે, એતો બેસાર્યા શ્રીરણછોડરે ।।૧૦।।

ઊત્તર મંદિરે ધર્મ ભગતિરે, પાસે પોતાની મૂરતિરે । દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણરે, જોઈ જન મન થાય પ્રશ્નરે ।।૧૧।।

વળી પોતાની મૂર્તિ બેસારીરે, તેતો સહુથી છે બહુ સારીરે । એહ મૂર્તિ મંગળ રૂપરે, સહુ જનને સુખ સ્વરૂપરે ।।૧૨।।

વસ્યા આવી વરતાલ ગામરે, ધર્મનંદને કર્યું નિજ ધામરે । તિયાં વર્ષોવરષ આવે જનરે, આવે ઊત્સવે કરે દરશનરે ।।૧૩।।

ઊત્સવ વિના પણ આડે દિનેરે, આવે અનેક જન દરશનેરે । જેજે દરશન કરે કોય દાસરે, તેતો પામે બ્રહ્મમો’લે વાસરે ।।૧૪।।

એવું ધાર્યું છે ધર્મનંદનેરે, તેની કોણ કરે કહો મનેરે । જેનો હુકમ પાછો ન ફરેરે, તેતો જેમ ધારે તેમ કરેરે ।।૧૫।।

આજ મહારાજે ધાર્યું છે એમરે, કેનું ફેરવ્યું ફરશે કેમરે । માટે એ વાટે કલ્યાણ જાણોરે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણોરે ।।૧૬।।

નથી વાત આ વડાઇ સારૂંરે, સાચી લખતાં શીદ શંકા ધારૂંરે । માટે બહુ રીતે તારવા કાજરે, આજ આવ્યા છે પોતે મહારાજરે ।।૧૭।।

તાર્યા આવીને જીવ અનેકરે, વરતાલે તો વાળ્યો વસેકરે । જોયા ઊત્સવ સમૈયા જેણેરે, કરી લિધું છે કારજ તેણેરે ।।૧૮।।

જેણે કરી મંદિરની સેવારે, વળી પૂજયા સંત મુકત જેવારે । કરી ભકિત અતિ ભલે ભાવેરે, તેને તુલ્ય કહો કોણ આવેરે ।।૧૯।।

એનું ફળ છે અક્ષરધામરે, પામી થાશે તે પૂરણકામરે । એતો વાત છે સાચી સઘળીરે, શ્રીમુખથી મ જો સાંભળીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચવશઃ પ્રકારઃ ।।૨૫।।