દોહા –

વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કચિત । ગાઉં રીતિ ગઢડાતણી, જિયાં ઊદ્ધારિયા અગણિત ।।૧।।

ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ । અનંત જીવ ઊદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।।

પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઈ લેશ । એવા જન ઊદ્ધારિયા, આપી આપે ઊપદેશ ।।૩।।

વળી ઊત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન । તે જનને પણ તારિયા, દઇ પોતે દરશન ।।૪।।

ચોપાઈ –

કર્યા ઊત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે । અષ્ટમી અન્નકોટ ઊત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।।

વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઊડાડ્યો અતોલરે । રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી રાયજાદિરે ।।૬।।

અષ્ટમી ઊત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે । નિત્ય ના’વા જાતા સંત સાથરે, જન જોઇને થાતા સનાથરે ।।૭।।

ના’તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે । ગાતા વાતા આવતા ઊતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।।

જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજનરે । દેતા દહી દુધ તે ૩દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।।

બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઊત્સવ કરતારે । અન્નકોટ ઊપર આવે દાસરે, તેને ઊઠી મળે અવિનાશરે ।।૧૦।।

હાર ઊતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે । પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।।

પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી ભાજનરે । તેતો પંકિત કરી પિરસ્યાંરે, જમી જન મનમાં હુલસ્યાંરે ।।૧૨।।

નિજ હાથે જમાડેછે નાથરે, મુકી જન માથે હરિ હાથરે । એમ આપેછે સુખ અલેખેરે, તેતો નર અમર સૌ દેખેરે ।।૧૩।।

એહ ઊત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્યરે । પણ એમાં તો ન હોય ભેળારે, કેડે સાંભળી જેણે એ લીળારે ।।૧૪।।

તેતો બ્રહ્મમો’લે ભલિ ભાત્યરે, જાશે બીજાને લઈ સંગાત્યરે । તેમાં સંશે કરશોમાં કાંઈરે, હરિએ ઈચ્છા કરી ઊરમાંઈરે ।।૧૫।।

વળી વસંત પંચમીએ વાલેરે, બહુ સખા રંગ્યા’તા ગુલાલેરે । પોતે ભરી ગુલાલની ઝોળીરે, નાંખી રંગ્યા હતા સંત ટોળીરે ।।૧૬।।

એહ સમો સંભારે જે જનરે, વળી સાંભળી કરે ચતવનરે । તેને અક્ષરધામનું બારરે, જાણો ઊઘડિયું છે આ વારરે ।।૧૭।।

શીદ શંકા રાખે જન મનરે, મળ્યે સહજાનંદ ભગવનરે । આજ બહુ જીવ તારવા સારૂંરે, કર્યા અલબેલે ઊપાય હજારૂંરે ।।૧૮।।

જીવ જોરેશું જાવા છે લઈરે, સુખી કરવા છે સુખ દઈરે । હશે જીવને જાવાનું બીજેરે, પણ જાવું પડશે રીઝે ખીજેરે ।।૧૯।।

એમાં નહિ પડે કેણે ફેરરે, શીદ કહેવરાવો વેરવેરરે । હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાંરે, જાવા આવી ગયા છે તોલમાંરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવશઃ પ્રકારઃ ।।૨૭।।