દોહા –

ગણિયે વળી ગઢપુરથી, જીવ ઊદ્ધારિયા અપાર । તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર ।।૧।।

નિત્ય પ્રત્યે નવા નવા, ઊત્સવ થાયે અહોનિશ । જોઈ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ ।।૨।।

અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ । પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ ।।૩।।

સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નિરખે જન । તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન ।।૪।।

ચોપાઈ –

એમ અનેક રીત્યે મહારાજરે, કર્યાં બહુ બહુ જીવનાં કાજરે । વળી કરવા બહુનાં કલ્યાણરે, શુંશું કરિયું શ્યામ સુજાણરે ।।૫।।

કર્યો હુતાશનિનો સમૈયોરે, તેતો કોઈથી ન જાય કૈ’યોરે । મળ્યા સંત હરિભકત સહુરે, આવ્યા બીજા પણ જન બહુરે ।।૬।।

પોતે પે’રી અંબર અમૂલરે, શોભે પાઘના પેચમાં ફુલરે । હૈયે હાર અપાર ગુલાબીરે, શોભે અતિ સુંદર અજાબીરે ।।૭।।

એવી મૂરતિ મન ભાવનરે, રમે જનને સાથે જીવનરે । હાથે લઈ પોતે પીચકારીરે, નાખે રંગ સોરંગનાં વારિરે ।।૮।।

વળી ઊપર નાખે ગુલાલરે, તેણે સખા થાય રંગ લાલરે । નાખે સખા તે રંગ સોરંગરે, તેણે રંગાય વાલાનું અંગરે ।।૯।।

લાલ ગુલાલની ભરી ઝોળીરે, નાખે જનપર રમે હોળીરે । એવા દીઠા જેણે દ્રગ ભરીરે, તેતો ગયા ભવજળ તરીરે ।।૧૦।।

એવી લીળા કરેછે મહારાજરે, તેતો સહુ જનના સુખ કાજરે । કે’શે સુણશે જે સંભારશેરે, તેણે સંસારસધુ તરશેરે ।।૧૧।।

એમ સહુ જનને સુખ થાવારે, ચાલ્યા રંગે રમી નાથ નાવારે । નાહ્યા નાથ સાથે સખા સહુરે, એહ સમાની શી વાત કહુંરે ।।૧૨।।

શોભે સખા મધ્યે ઘનશ્યામરે, જોયા જેણે તેણે કર્યું કામરે । શોભા બહુ પ્રકારની બનીરે, એવી રીતે રમ્યા હુતાશનીરે ।।૧૩।।

પછી આવી રામનૌમી રૂડીરે, સંભારતાં સહુને સુખમુડીરે । મળ્યા જન હજારો હજારરે, સતસંગી કુસંગી અપારરે ।।૧૪।।

તેતો સહુને દરશન થયાંરે, દર્શન વિના તો કોય ન રહ્યાંરે । જોયા જેણે જેણે નયણે નાથરે, તેતો સર્વે થયા છે સનાથરે ।।૧૫।।

તેતો ભવમાંહી નહિ ભમેરે, એમ શ્યામે ધાર્યું છે આ સમેરે । જન જકતના તારવા કાજરે, એવું ૧પણ લીધું છે મહારાજરે ।।૧૬।।

માટે દરશ સ્પરશ દઈનેરે, બ્રહ્મમો’લે જાવા છે લઈનેરે । વળી એકાદશી કપિલા છઠેરે, દીધાં દર્શન પોતે રૂડી પેઠેરે ।।૧૭।।

લાખો લેખે લોકે લીધો લાવરે, ર્નિિખ નયણે મનોહર માવરે । એહ દર્શનને પરતાપેરે, જાય અક્ષરધામમાં આપેરે ।।૧૮।।

એમ સાઘું કીધું છે સહુનેરે, આજ તારવા જન બહુનેરે । નથી જોતા નરસા ને સારારે, અક્ષરમાં જાયછે એક ધારારે ।।૧૯।।

કર્યો ચાલતો મોક્ષ મારગરે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગરે । આવે અંતકાળે નાથ આપેરે, તેડી જાય છે નિજ પ્રતાપેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાવશઃ પ્રકારઃ ।।૨૮।।