દોહા –

એમ ઊત્સવ કરી હરિ, ફરિ ફરિ દિયે દરશન । અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરશન ।।૧।।

મહા મનોહર મૂરતિ, અતિ સુખદ સહજાનંદ । સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ ।।૨।।

લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન । દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ।।૩।।

ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ । પાવન થઈ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ।।૪।।

ચોપાઈ –

ધન્ય ધન્ય ઊત્તમ દરબારરે, જિયાં પોતે રહ્યા કરી પ્યારરે । રમ્યા ભમ્યા જમ્યા જિયાં નાથરે, જમ્યો મહા મુકતનો જયાં સાથરે ।।૫।।

ધન્ય ઓરડા ધન્ય ઓસરીરે, જિયાં હરિ બેઠા સભા કરીરે । દિયે દરશન પોતે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।।૬।।

એહ ભૂમિકાનાં મોટાં ભાગ્યરે, નથી જાણજો એ કહ્યા લાગ્યરે । ફળી ચોક વળી શું વખાણુંરે, શ્વેત વૈકુંઠ સમ જાણુંરે ।।૭।।

ચરણ રજે ભર્યાં ભરપૂરરે, સ્પરશે રજ કરે દુઃખ દૂરરે । તિયાં પાપી તજે કોઈ પ્રાણરે, તે પણ પામે પદ નિર્વાણરે ।।૮।।

સોય અગ્ર સમાન અવનીરે, નથી વણ સ્પરશ્યે પાવનીરે । ધન્ય શેરી બજાર ને હાટરે, ધન્ય ઊત્તમ ગંગાનો ઘાટરે ।।૯।।

ધન્ય ગઢપુરનાં ઘર ફળીરે, ચરણ અંકિત ભૂમિ છે સઘળીરે । ધન્ય વાડી વૃક્ષની છાંયરે, હરિ સ્પર્શ વિના નથી કાંયરે ।।૧૦।।

ધન્ય ધન્ય નારાયણ હૃદરે, સહુ પ્રાણધારી સુખપ્રદરે । ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાંરે, કર્યાં હરિએ પવિત્ર સઘળાંરે ।।૧૧।।

ધન્ય ઘેલા નદીના ઘાટરે, કર્યા પંચ પવિત્ર ના’વા માટરે । તિયાં જે જે જન આવી નાશેરે, તેતો અંતર બાહ્ય શુદ્ધ થાશેરે ।।૧૨।।

ના’શે નિરમળ જળ જેહરે, પરમ ધામને પામશે તેહરે । જિયાં ના’યા છે જગ જીવનરે, એથી નથી નીર કોય પાવનરે ।।૧૩।।

પુરૂષોત્તમ સ્પરશની જે વસ્તુરે, ન મળે જયાંલગિ ઊદે ને અસ્તુરે । બહુ દેશ બહુ ગામ ઘરરે, કર્યાં સ્પરશિ પવિત્ર સુંદરરે ।।૧૪।।

જિયાં જિયાં વિચર્યા વાલમરે, કર્યાં ઘર તે વૈકુંઠ સમરે । સ્પરશિ જાગ્યે ત્યાગે કોય તનરે, જાય બ્રહ્મમો’લ તેહ જનરે ।।૧૫।।

એમ ધારી આવ્યા છે અવિનાશિરે, કરવા બહુને ધામના વાસીરે । નિજબળને પ્રતાપે કરીરે, બહુ જીવને તારે છે હરિરે ।।૧૬।।

તેહ સારૂં વિચરે વસુધાયરે, બીજો અર્થ નથી એને કાંયરે । અર્થ એહ ઊદ્ધારવા પ્રાણીરે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણીરે ।।૧૭।।

માટે જિયાં જિયાં હરિ રહ્યારે, જેજે સ્થાનકે પોતે હરિ ગયારે । તેતો સ્થાનક કલ્યાણકારીરે, જેજે જોયા તે રાખવા સંભારીરે ।।૧૮।।

એછે ૨દોયલા દનની દોલત્યરે, સહુ માની લેજો વાત સત્યરે । હરિને આગ્રહ છે આજ અતિરે, કરાવવા પોતાની પ્રાપતિરે ।।૧૯।।

એજ અર્થ કરવો છે સિદ્ધરે, જીવ તારવા છે બહુ વિદ્ધરે । એહ સારૂં આવ્યા છે આ વારરે, તેતો નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકોનત્રશઃ પ્રકારઃ ।।૨૯।।