દોહા –

વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક । માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ।।૧।।

ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન । માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ।।૨।।

મૂરતિ દ્વારે મનુષ્યનું, થાશે કોટિનું કલ્યાણ । એહ ઊત્તમ ઊપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ।।૩।।

સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન । પછી મોટું મંદિર કરાવવા, અતિ ઊતાવળું ભગવન ।।૪।।

ચોપાઈ – કર્યું ખાત મુહૂર્ત હરિ હાથેરે, તિયાં હું પણ હતો સંગાથેરે । નાખી નાથે પાયો નકિ કર્યુંરે, એમ આપે મંદિર આદર્યુંરે ।।૫।।

હાં હાં કરતાં થયું તૈયારરે, વળી ઘણી લાગી નહિ વારરે । કર્યું મોટું મંદિર બે માળરે, કરાવિયું હેતેશું દયાળરે ।।૬।।

થયું મંદિર પુરૂ જે વારરે, માંહિ મૂરતિ પધરાવી તે વારરે । ગુણ સાગર જે ગોપીનાથરે, તેતો પધરાવ્યા પોતાને હાથરે ।।૭।।

રાધા સહિત શોભે અતિ સારારે, જે જુવે તેને લાગે પ્યારારે । એતો વાસુદેવ ભગવાનરે, જે જુવે તે થાય ગુલતાનરે ।।૮।।

એ જે ગોપીનાથની મૂરતિરે, એતો સુંદર શોભે છે અતિરે । એવી મૂરતિ એમ પધરાવીરે, સુંદર મંદિર સારૂં બનાવીરે ।।૯।।

બાંધ્યું ધામ શ્યામે સહુ કાજરે, મે’ર કરીને પોતે મહારાજરે । ૨કંક દેશનું કરવા કલ્યાણરે, કર્યું કામ એ શ્યામ સુજાણરે ।।૧૦।।

જેજે જન કરે દરશનરે, મૂરતિ જોઈ થાયે મગનરે । કરે દંડવત પરણામરે, તેતો પો’ત્યા છે પરમ ધામરે ।।૧૧।।

વળી મન કર્મ ને વચનેરે, નિરખ્યા ગોપીનાથ જે જનેરે । તેતો પામશે અક્ષરધામરે, થાશે જન તે પૂરણકામરે ।।૧૨।।

એમ દયા કરીને દયાળેરે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળેરે । કોઇ ભાવ અભાવે આજ ભજેરે, આવે હરિ તેડવા તન તજેરે ।।૧૩।।

ભાવે કરી કરે જે ભગતિરે, તેતો પામે પરમ પ્રાપતિરે । અન્ન ધન વાહન વસનેરે, વાસણ ભૂષણાદિ પૂજયા જનેરે ।।૧૪।।

ફળ ફુલ આદિક જેહરે, હેતે કરી આપે જન તેહરે । કુસુમ હાર તોરા ને ગજરારે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરારે ।।૧૫।।

આપી નાથને જોડીયા હાથરે, તેતો થઇ ચુકયા છે સનાથરે । થાય સેવા તે સર્વે જો રીતેરે, કર્યું જન હેતે પોતે પ્રીતેરે ।।૧૬।।

કર્યું કામ એ મોટું મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે । એમ બહુ બહુ કર્યા ઊપાયરે, જીવ લઈ જાવા ધામમાંયરે ।।૧૭।।

તેનો આગ્રહ છે આઠુ જામરે, નથી પામતા પળ વિશરામરે । જાણે બાંધી ધામ ઘણાં ઘણાંરે, કરૂં બાર અપાર મોક્ષતણાંરે ।।૧૮।।

ચાર વર્ણ ને આશ્રમ ચારરે, સહુ પામે ભવજળ પારરે । મારો આવવાનો અર્થ શિયોરે, જયારે જીવને સંકટ રિયોરે ।।૧૯।।

ગઢપુર મંદિરથી અપારરે, કૈક જીવનો કર્યો ઊદ્ધારરે । ખાયે પીયે રહે ખુશી રમેરે, આવે નાથ તેડવા અંત સમેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રશત્તમઃ પ્રકારઃ ।।૩૦।।