દોહા –

ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય । જીયાં સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય ।।૧।।

સતસંગી બાઈ ભાઈને, થયાં દર્શન ગઢડે ગામ । દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરૂષ ને વામ ।।૨।।

અઢળક ઢળ્યા મળ્યા જિયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ । તે ચરણ ચિત્તે ચતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ ।।૩।।

બહુપેર પરસાદિયો, વળિ ઈયાં મળી છે જરૂર । તેનું ઘસાતું બોલવું, એથી બીજો કોણ અસુર ।।૪।।

ચોપાઈ –

એતો ભોગવશે એનું પાપરે, તેનો આપણે શો સંતાપરે । વળી જેજે કર્યું જગતાતરે, કહું સાંભળજો તેની વાતરે ।।૫।।

સોરઠ દેશવાસી જન કાજેરે, કરાવિયું મંદિર મહારાજેરે । જોઇ જીરણગઢ માંઇ જાગ્યરે, દિઠી દેવળ કરવા લાગ્યરે ।।૬।।

જાણ્યું આ જાગ્યે મંદિર થાયરે, તેનો મોટો વધે મહિમાયરે । મોટું શેહર તીરથ વળી મોટુંરે, જિયાં આવે મનુષ્ય કોટાનકોટુંરે ।।૭।।

તેહ સહુને થાય દરશનરે, તેણે કરી તરે બહુ જનરે । વળી દેશમાં સારા સતસંગીરે, જેની પ્રીત પ્રભુમાં અભંગીરે ।।૮।।

સ્વામી રામાનંદજીના શિષ્યરે, હેતે હરિ ભજેછે હમેશરે । સહુ સિદ્ધ સમાધિ સંપન્નરે, અતિ અનઘ જાણો એ જનરે ।।૯।।

વળી આવી અમે એહ દેશરે, રહી ગયા વરણિને વેષરે । જોઇ પવિત્ર દેશ પાવનરે, ઘણું ઘણું માની ગયું મનરે ।।૧૦।।

પછી લોભી રહ્યા લોજ ગામરે, કરવા અનેક જીવનાં કામરે । કરતા બહુ બહુ અમે વાતરે, સુણી સહુ થાતા રળિયાતરે ।।૧૧।।

વળી દેખાડતા પરતાપરે, થાય સમાધિ ટળે સંતાપરે । સમાધિયે સુખી નર નારરે, ના’વે સમાધિથી કોઇ બા’રરે ।।૧૨।।

કોઈ સુરપુર અવલોકેરે, કોઈ રહી જાય સત્યલોકેરે । દેખે કૈલાશ ને બદ્રિવનરે, કોઈ દેખેછે મુકત નિરન્નરે ।।૧૩।।

દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળરે, એવું દેખાડતા તતકાળરે । કોઈ દેખેછે ગોલોકધામરે, જોઈ માનેછે પૂરણકામરે ।।૧૪।।

કોઈ અક્ષરધામ અવલોકેરે, જોઈ મીટ થકી તે ન મુકેરે । દેખે પર ને પોતાનું મનરે, દેખે ઘાટ પરસ્પર જનરે ।।૧૫।।

એવો પ્રગટ કર્યોતો પ્રતાપરે, સૌ જન કરવા નિષ્પાપરે । રહ્યા એ દેશમાં અમે ઘણુંરે, સહુને દર્શન થયું અમ તણુંરે ।।૧૬।।

તેહ દેશમાંહી હવે દાસરે, અમ વિના થયા છે ઊદાસરે । માટે મંદિર થાય એક સારૂંરે, એમાં બહુ છે ગમતું અમારૂંરે ।।૧૭।।

માટે જીરણગઢમાં જઈરે, કરાવું મંદિર સુંદર સઈરે । પછી મંદિર કરવા કાજરે, મોકલ્યા છે મોટા મુનિરાજરે ।।૧૮।।

કર્યો આદર થાવા દેવળરે, અતિ સરસ અનુપ અકળરે । થયું થોડાક દિનમાં તૈયારરે, ત્યાંતો પધાર્યા પ્રાણ આધારરે ।।૧૯।।

સંતો મૂર્તિયો સારી સારીરે, મારે હાથે હું દિયું બેસારીરે । એહ મૂર્તિનો મહિમાયરે, કે’તાં કેડ્યે કેણે ન કે’વાયરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકત્રશઃ પ્રકારઃ ।।૩૧।।