દોહા –

પછી મંદિરમાંહી મૂરતિયો, પધરાવી કરી બહુ પ્રીત । સુખકારી તે મૂરતિ, અતિ સારી સુંદર શોભિત ।।૧।।

મધ્યના મંદિરમાં મનોહર, જોયા જેવી જે જોડ । પ્રેમે કરી પધરાવિયા, ત્રિકમરાય રણછોડ ।।૨।।

પૂર્વ દે’રે પધરાવિયા, રાધારમણ કૃષ્ણ કૃપાળ । આવી બેઠા ગરૂડાસન, અતિ દયા કરીને દયાળ ।।૩।।

પશ્ચિમ દે’રે પધરાવિયાં, શિવ પારવતી સુખરુપ । ગણપતિ વૃષભ વળી, મળી શોભે છે અતિ અનૂપ ।।૪।।

ચોપાઈ –

સુંદર મૂરતિયો સરખી સારીરે, તેતો મંદિરમાંય બેસારીરે । જોયા જેવી મૂર્તિ જુનેગઢરે, જેજે જુવે તેને લાગે રઢરે ।।૫।।

એવી પોતે મૂર્તિ પધરાવીરે, ગઢડેથી જુનેગઢ આવીરે । કરવા અનેક જીવનું કલ્યાણરે, કર્યું કામ શ્યામ સુજાણરે ।।૬।।

કર્યો ઊત્સવ અતિ ત્યાં ભારીરે, આવ્યાં દર્શને સૌ નર નારીરે । તેને ભોજન કરાવ્યાં ભાવતાંરે, પછી નાહી નાથ જમ્યા હતારે ।।૭।।

જમી પોતે જમાડિયા જનરે, ભાવે પીરશિયું ભગવનરે । ફરિ ફરિ ફેરવે મોદકરે, દિયે દોય માગે કોઈ એકરે ।।૮।।

અતિ હેત છે હરિજન માથેરે, માટે જમાડેછે જન હાથેરે । એમ જમાડિ રહ્યા જન જયારેરે, મળ્યા સહુ સંતને તે વારેરે ।।૯।।

મળી વળી સંત પાયે પડ્યારે, વળતા નાથ રૈવતાચળ ચડ્યારે । એમ હરે ફરે કરે કાંઈરે, સહુ જનને છે સુખદાઈરે ।।૧૦।।

મંદિર કરાવ્યું જે મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે । કોઈ આવી દર્શન કરશેરે, તેતો અપાર સંસાર તરશેરે ।।૧૧।।

એહ મોટો કર્યો ઊપકારરે, બહુ જીવ તારવા આવારરે । પશ્ચિમ દેશિ કરવા પુનિતરે, કર્યું મંદિર સારૂં શોભિતરે ।।૧૨।।

વળી સંતને આપી આગન્યારે, રે’વું નહિ આંહિ આવ્યા વિનારે । વરષો વરષ એક માસરે, કરવો આ મંદિરમાંહિ વાસરે ।।૧૩।।

એવી આગન્યા આપી દયાળેરે, તેતો માની લિધિછે મરાળેરે । વળી કરી છે હેતની વાતરે, તેણે સહુ થયા રળિયાતરે ।।૧૪।।

કહે આ દેશ છે બહુ સારોરે, સહુ જન મનમાં વિચારોરે । ઇયાં રામાનંદ સ્વામી રે’તારે, જીવ બહુને અભયદાન દેતારે ।।૧૫।।

સોરઠ દેશનાં સર્વે ગામરે, તેમાં વસેછે પુરૂષ ને વામરે । તે સહુને દરશન થયાંરે, કોઇ દરશન વિના ન રહ્યાંરે ।।૧૬।।

વળી અમે પણ જો સોરઠેરે, સરવે ફર્યા છીએ સારી પેઠેરે । સહુ જાણે છે અમને જનરે, વળી થયાંછે સહુને દર્શનરે ।।૧૭।।

જેજે જપેછે અમારૂં નામરે, તેતો પામશે પરમ ધામરે । વળી આ મૂરતિ જે બેસારીરે, તે નિરખશે જે નર નારીરે ।।૧૮।।

તેને શીદ રાખી જોઇએ શંકારે, જાશે બ્રહ્મમો’લે દઈ ડંકારે । એમ ધારીને આવ્યાછીએ અમેરે, સત્ય માનજયો સહુજન તમેરે ।।૧૯।।

આ વારનો જે અવતારરે, એવો ન થાયે વારમ વારરે । નથી આવ્યા ને આવશું કયાંથીરે, જન જાણજયો સૌ મનમાંથીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાત્રશઃ પ્રકારઃ ।।૩૨।।