દોહા –
પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ । ઈયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ ।।૧।।
અતિ ઊત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપુર । ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરૂર ।।૨।।
જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય । જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ।।૩।।
માટે મંદિર આંહિ આરંભો, અતિ ઊરે આણી આનંદ । થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ।।૪।।
ચોપાઈ –
પછી આદરિયું છે મંદિરરે, અતિ ઊતાવળું તે અચિરરે । ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધુંરે, પછી મંદિરનું કામ લીધુંરે ।।૫।।
થાય અહોનિશ કામ એહરે, કરે જન કરીને સનેહરે । થયું તૈયાર વાર ન લાગીરે, ત્યાંતો પધાર્યા શ્યામ સુહાગીરે ।।૬।।
જોઈ મંદિર મગન થયારે, સારૂં સારૂં કર્યું કે’છે રહ્યારે । હવે બેસારિયે જો મૂરતિરે, રાધાકૃષ્ણની સારી શોભતિરે ।।૭।।
પછી સમે સહાસન માથેરે, મદનમોહન પધરાવ્યા હાથેરે । કરી પૂજા આરતી ઊતારીરે, થયો જયજય શબ્દ ભારીરે ।।૮।।
મદનમોહનની જે મૂરતિરે, તેતો સુંદર શોભેછે અતિરે । જેજે નિરખે નયણાં ભરીરે, તેનું મન ચિત્ત લિયે હરિરે ।।૯।।
એવી મૂરતિયો છે અતિ સારીરે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારીરે । મદનનું પણ મોહે મનરે, ત્યારે બીજા ન મોહે કેમ જનરે ।।૧૦।।
શોભાસાગર સુખની ખાણીરે, છબી જાતિ નથી જો વખાણીરે । જોઈ જોઈ જન મન લોભેરે, એવા મદનમોહન શોભેરે ।।૧૧।।
મહા મનોહર જે મૂરતિરે, તેતો બેસારી કરી હેત અતિરે । કર્યો મોટો ઊત્સવ એહ દનરે, સહુને કરાવ્યાં ભોજનરે ।।૧૨।।
કર્યો સમૈયો બહુ સારોરે, લાગ્યો પ્રેમી જનને પ્યારોરે । જમ્યા રમ્યા સંત રૂડી રીતેરે, પરિપૂરણ થયા સહુ પ્રીતેરે ।।૧૩।।
જાણો જમ્યા તે હરિને હાથેરે, સંત સર્વે સતસંગી સાથેરે । જે કોઈ ઊત્સવપર આવિયુંરે, તેતો જમ્યા વિના નહિ રહ્યુંરે ।।૧૪।।
જમ્યા સહુ ઊત્સવનું અન્નરે, એવો સમૈયો કર્યો ભગવનરે । જેજે જમિયા જન અન્ન એહરે, થયા મોક્ષભાગી સહુ તેહરે ।।૧૫।।
વળી કર્યાં જેને દરશનરે, તેતો થયા પરમ પાવનરે । એવો કર્યો મોટો ઊપકારરે, જગજીવ તારવા આ વારરે ।।૧૬।।
મૂરતિ બેસારી સારી સુંદરરે, અતિશોભિત મહા મનોહરરે । નિજભકતની પુરવા આશરે, મૂર્તિ બેસારી ધોલેરે વાસરે ।।૧૭।।
કરવા અનેક જીવનું કલ્યાણરે, આપે ઊઘાડી મોક્ષની ખાણરે । આવે દેશી પરદેશી દર્શનેરે, નિરખે હરખિ હરખિ મનેરે ।।૧૮।।
જેણે જેણે જોયા નયણે નાથરે, વળી પાયે લાગ્યા જોડી હાથરે । તેનાં સરી ગયાં સર્વે કામરે, વળી પામશે પરમ ધામરે ।।૧૯।।
એમ ઈચ્છા કરી છે હરિ આપરે, જીવ તારવા આપ પ્રતાપરે । બહુ જનની કરવી છે સારરે, એવો કરી આવ્યા છે નિરધારરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચત્રશઃ પ્રકારઃ ।।૩૫।।