દોહા –

વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર । અનેક જીવ ઊદ્ધારવા, કર્યું કામ અનામ અચિર ।।૧।।

સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર । પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।।

નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ । તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।।

માટે મારે એ મંદિરપર, ઘણું ઘણું રહેછે હેત । ધન્ય ધન્ય એહ સંતને, જે ઈયાં રહે કરી પ્રીત ।।૪।।

ચોપાઈ –

મારે વચને જે ઈયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે । એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું સાજીરે ।।૫।।

એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે । હોય બરોબર બેહુ જયારેરે, ત્યારે તમ ઘણું ઘેર મારેરે ।।૬।।

પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા’લો મને નોયરે । માટે સે’જે સે’જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।।

એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે । બીજા જકતના જમાડે ક્રોડ્યરે, તોયે આવે નહિ એની જોડ્યરે ।।૮।।

એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે । તેતો જન જાયે બ્રહ્મમો’લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।।

જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઊભા સામારે । એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।।

દેહાભિમાની તો દિઠા ન ગમેરે, જે કોઈ ભકિતથી ભાગતા ભમેરે । એમ શ્રીમુખે કહે વળી વળીરે, સત્ય લખ્યું જાણજો સાંભળીરે ।।૧૧।।

જેવો સંતનો કર્યો સતકારરે, તેવો મૂરતિમાં છે ચમત્કારરે । જેહ દિનથી બેઠી એ મૂરતિરે, તેહ દિનથી થયું સુખ અતિરે ।।૧૨।।

શે’રમાં પણ થયો સમાસરે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસરે । જિયાં હતાં વાંસડાનાં ઘરરે, તિયાં થઈ હવેલિયો સુંદરરે ।।૧૩।।

તેતો મદનમોહન પ્રતાપરે, સહુ સુખિયાં થયાં છે આપરે । તેતો જાણે છે પોતાના જનરે, બીજાને તો મનાય નહિ મનરે ।।૧૪।।

પણ જાણે અજાણે જે જનરે, કરશે મદનમોહનનાં દર્શનરે । તેતો આલોક પરલોક માંઈરે, મોટા સુખને પામે સદાઈરે ।।૧૫।।

જાણે અજાણે લેશે જે નામરે, તેતો જન છે પૂરણકામરે । ભાવ સહિત કરશે ભજનરે, તેનું બ્રહ્મમો’લે છે સદનરે ।।૧૬।।

તેહ સારૂં છે ધોલેરે ધામરે, બહુ જીવનું કરવા કામરે । દેશી પ્રદેશી આવી ત્યાં બહુરે, કરે હરિનાં દર્શન સહુરે ।।૧૭।।

પૂર્વ પશ્ચિમ ઊત્તર દક્ષિણરે, આવે ત્યાંથી તણાઈ તતક્ષણરે । સો સો જોજનથી આવે જનરે, કરે મદનમોહનનાં દર્શનરે ।।૧૮।।

તેતો અવિચળ ધામમાં આપેરે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપેરે । તેમાં સંશય કરશો માં કોયરે, હરિ ધારે તે શું ન હોયરે ।।૧૯।।

માટે એ મૂરતિ દ્વારે કરીરે, જાશે બહુ જીવ ભવ તરીરે । તેહ સારૂં કર્યું છે મહારાજેરે, અમૃતપદ પમાડવા કાજેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ત્રશઃ પ્રકારઃ ।।૩૬।।