દોહા –
એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઊઘાડ્યાં બાર । કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।।
આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય । સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।।
મંદિર મૂર્તિ સંબન્ધે, કર્યા કલ્યાણના ઊપાય । એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।।
જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ । એમ સમાજ દૈ તારે જીવને, એની સઈ આશ્ચરજ ।।૪।।
ચોપાઈ –
એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે । બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।।
વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે । મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।।
પણ તેતો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે । મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।।
જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે । તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।।
માટે એના કરૂં એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે । પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।।
સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે । તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।।
આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઈને ન થાય કલેશરે । સાધુ સત્સંગીના ગુરૂ કીધારે, દેશ ઊત્તર દક્ષિણ વે’ચી દીધારે ।।૧૧।।
કહે સહુ સહુને દેશે રે’જોરે, સારો સહુને ઊપદેશ દેજોરે । તમને માનશે પૂજશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।।૧૨।।
અન્ન ધન આપશે અંબરરે, પશુ વાહન ને વળી ઘરરે । ફળ ફુલ દલ જળ દેશેરે, તેતો અખંડ ધામને લેશેરે ।।૧૩।।
એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘર ધારી જે ગૃહસ્થરે । વળી પધરાવશે પોતાને ઘેરરે, કરશે સેવા વળી સારી પેરરે ।।૧૪।।
વળી કરશે સન્માન એનુંરે, મારે કરવું છે કલ્યાણ તેનુંરે । એમ આચારજથી કલ્યાણરે, થાશે સહુ જીવનું સુજાણરે ।।૧૫।।
માનો મોક્ષનો છેલ્લો ઊપાયરે, એહ ઊપરાંત નથી કાંયરે । મૂર્તિ આચારજ ધર્મપાળરે, રે’શે કલ્યાણ તે બહુ કાળરે ।।૧૬।।
જેજે એને કોઈ આશરશેરે, તેતો જરૂર ભવજળ તરશેરે । કરશે દર્શનને ગુણ લેશેરે, વળી પો’ચ્ય પ્રમાણે કાંઈ દેશેરે ।।૧૭।।
શ્રદ્ધા સહિત સેવા કરે સોઈરે, વળી રાજી થાશે એને જોઈરે । એવા જન જેજે જગમાંયરે, તેની કરવી મારે સહાયરે ।।૧૮।।
મારી ઈચ્છા છે હમણાં એવીરે, પરમ પ્રાપતિ સહુને દેવીરે । માટે મોક્ષનું મોટું દ્વારરે, અમે ઊઘાડિયું છે આ વારરે ।।૧૯।।
આચારજથી બહુ ઊદ્ધરશેરે, જાણો બ્રહ્મનગર વાસ કરશેરે । એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયેરે, જન સૌ સત્ય માની લિજીયેરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રશઃ પ્રકારઃ ।।૩૭।।