દોહા –

માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ । અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।

એક બ્રાહ્મણને જાણો ભકત અતિ, વળી કા’વે અમારૂં કુળ । એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।

મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ । એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।

મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર । એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।।

ચોપાઈ –

માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે । રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।

એહ કહે તેમ સહુ કરજોરે, પુછયા વિના તો પગ ન ભરજોરે । હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।

વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઈ પળેરે । ત્યાગી રાગી ને કવિ કોઈ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।

વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઈ દનેરે । એની વાત ઊપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।

એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઇ ન કરવીરે । પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।

જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે । એની માને સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।

એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે । એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।

કાંજે અમારે ઠેકાણે એ છેરે, તેતો પ્રવિણ હોય તે પ્રીછેરે । બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઈ રહેરે ।।૧૨।।

પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે । વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।

અમે એમાં એ છે અમમાંઈરે, એમ સમઝો સહુ બાઈ ભાઈરે । એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।

જેજે જનને થાય સમાસરે, તેતો અમે કરી રહ્યા વાસરે । શે’ર પાટણે સનમાન જડેરે, તેતો અમારી સામર્થી વડેરે ।।૧૫।।

દેશ પરદેશે પૂજાયે આપરે, તેતો જાણો અમારો પ્રતાપરે । જિયાં જાય તિયાં જય જિતરે, તેતો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।

એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે । ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઈચ્છાયરે ।।૧૭।।

અતિ ધર્મવાળા જોઈ જનરે, રે’વા માની ગયું મારૂં મનરે । માટે એને પૂજે હું પૂજાણોરે, તેતો જરૂર જન મન જાણોરે ।।૧૮।।

એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારૂં કર્યું છે નિદાનરે । એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।

સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે । પછી સહુએ આચારજ સેવ્યારે, તેતો મોટા સુખને લેવારે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારશઃ પ્રકારઃ ।।૪૦।।