દોહા –

વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત । જીવ જગતના ઊપરે, આજ અમે છીએ રળીઆત ।।૧।।

જાણિયે આખી જકતને, લઈ જાયે અમારે ધામ । કેડે ન રાખિયે કોઈને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।।

તે સારૂ ભૂમિ ઊપરે, કંઈ રાખ્યા સુખના સમાજ । અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।।

ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર । સહુ જીવનો સામટો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।।

ચોપાઈ –

તેહ સારૂં છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે । ચરણ ચતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઈ કરી પ્રીતરે ।।૫।।

પાન ફુલે પૂજશે જે જનરે, એકાગ્ર રાખી શુદ્ધ મનરે । તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।।

તેણે માનશે પૂરણકામરે, વળી પામશે અખંડ ધામરે । એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।।

સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે । આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભતરરે ।।૮।।

વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે । પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઈ સારીરે ।।૯।।

કરી પૂજા ઊતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે । તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।।

લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે । નિર્મળ અંતરવાળા જે જનરે, તેની પૂજા લેતાં હું પ્રસન્નરે ।।૧૧।।

એમ પ્રગટ પટ મૂરતિમાંરે, પૂજી પામશે સુખની સીમારે । બીજી મૂરતિયો બહુ જગેરે, મર સેવે પૂજે સરાલગેરે ।।૧૨।।

તોય એવો પરિચય ન પામેરે, જેથી સરવે સંકટ વામેરે । બીજી મૂરતિ ને આ જે મૂરતિરે, તેમાં ફેર જાણજો છે અતિરે ।।૧૩।।

કાંજે આ મૂરતિને સ્પરશરે, થયો અમારો માટે સરસરે । જાણો આ મૂરતિને સેવતાંરે, દુષ્ટ સમી જાશે દુઃખ દેતાંરે ।।૧૪।।

કામ ક્રોધ લોભ ને જે મોહરે, એવો અધર્મ સર્ગનો સમોહરે । એહ અંતરે રહ્યો છે છાઈરે, તેણે ભતર રહ્યુંછે ભરાઈરે ।।૧૫।।

તેતો પટમૂરતિ પૂજવેરે, પાપ નાસે કે’ નૈ રૈ’યે હવેરે । એવો પટ મૂરતિ પ્રતાપરે, જાણો સહુ હરણ સંતાપરે ।।૧૬।।

એ પણ માનો મોક્ષની નિસરણીરે, કરી છે જો ધામ જાવા તણીરે । એહ વિના અનેક જે ઊપાયરે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંયરે ।।૧૭।।

સર્વે ઊપાય થયા છે સારારે, નથી એ વિના બીજા કરનારારે । એતો કર્યા છે અમે વિચારીરે, સહુ કરવા અક્ષર અધિકારીરે ।।૧૮।।

એમ જાણો જન નિરધારરે, આજ તરેછે જીવ અપારરે । જેજે અમે કર્યા છે ઊપાયરે, નથી એકે તે અર્થ વિનાયરે ।।૧૯।।

સર્વે સમઝિ વિચારી કર્યાછેરે, એને આશરી કંઈક તર્યાછેરે । તેતો સહુ જાણે છે સાક્ષાતરે, નથી મુખના કહ્યાની વાતરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચચત્વારશઃ પ્રકારઃ ।।૪૫।।