રાગ: ધોળ–
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ । સાંભળજો સ્નેહ સમાન તે શું કહું,
જપ તપ તીર્થ વ્રત જોગ જે । કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો૦ ।।૧।।
અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો૦ ।
કોઈ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો૦ ।।૨।।
પુણ્યદાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મધારી નરનાર; સાંભળજો૦ ।
સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો૦ ।।૩।।
જોગી થાકયા જોગીપણું પાળતાં, તપી થાકયા સહી શિત તાપ; સાંભળજો૦ ।
ધ્યાની થાકયા ધરતા ધ્યાનને, જપી થાકયા જપતાં જાપ; સાંભળજો૦ ।।૪।।
જતિ થાકયા જતને જાળવતાં, મુનિ થાકયા રે’તા વળી મુન્ય; સાંભળજો૦ ।
બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો૦ ।।૫।।
કોટિ કાયા કલેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો૦ ।
પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો૦ ।।૬।।
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો૦ ।
વા’લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો૦ ।।૭।। પદ ।।૧૧।।
ઈતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતા સ્નેહગીતા સંપૂર્ણા