સંવત્ ૧૯૨૧ના પોષ સુદિ પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દિવસે વાત કરી જે, મહારુદ્રમાં પાટીદારને ભંગ કરવાનું હતું, તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની, એક હાર હરિભકતની ને એક હારકાઠીની, એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે ? જે જેમ એ કાઠીઓએ કકડાટી કરીને પેસવા દીધા નહિ, એમ આપણે ભજનની કકડાટી કરીને બીજું કાંઇયે પેસવા દેવું નહિ. ને ભગવાનનું રટણ કરવું તે ભેળું સાધુનું પણ રટણ કરવું, ને એમને એમ કર્યા કરવું. ।।૧૯૯।।