સો વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ ત્યારે તો સારી રુચિ થાય. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, ‘હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચવિષયની છે.જયારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઇ ખમી શકે નહિ; પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. ’સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ; તુલસી ત્રણે ટીલે ન દીઠાં, રાવણ કૌરવ ને કંસ. તે કૈંક મારી નજર આગળ ગયા. આ વણથળીથી એકબાઇ ભાગીને ગઢડે સાંખ્યયોગી થઇને રહી, તે સારુ દાદાખાચરને બસેં રૂપિયા મોસલાઇ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઇ. પછી વડોદરામાં એ ફરવા ગઇ, ત્યાં ગૃહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદસ્વામી પણ ત્યાં હતા તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહેઃ ‘સાંખ્યયોગી થઇને લાડવાખાય છે તે કેમ ઠીક રહેશે ?’ એટલું કહેવરાવી મૂકયું. ત્યારે ઓલી કહેઃ ‘તમે સાધુ થઇને કેમ ખાઓ છો ? એમ બોલી તેનો દોષ લાગ્યો, તે સત્સંગમાંથી ભાગીને વિશાજીને લઇને રહી. એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદસ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. તે જુઓ તો ખબર પડે. તે ઓલીકોરના કેટલાકને ને આણીકોરના કેટલાકને સ્વામીનો અવગુણ, તે એકવાર ઓલીકોરનાને સભા કરવી હતી ને અપમાન કરવું હતું; તે સારુ આવેલ. પછી તો મેં જાણ્યું જે, આ ભૂંડું કહેવાય. તે બીજું તો કાંઇ નહિ, પણ રાંકાનાં હાંડલાં ફૂટી જાશે . જો સ્વામી કચવાશે તો મહારાજ તેડી જાશે ! પછી હું ત્યાં ગયો ને સહુને સમજાવ્યા. ને ભગવદાનંદસ્વામીને મેં કહ્યું જે, આ ઠાઠ રચ્યો છે તે આંહીં તો તમે મોટેરા છો, પણ ત્યાં તો હું મોટેરો છું. માટે આ તોફાન રહેવા દ્યો. હું તો એમજ બોલ્યો, પછી તો બધું શમી ગયું ને પાછા જાતા રહ્યાં. માટે હમણાં પણ કોઇથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે, પછી એનું ભૂંડું થાય. ।।૨૪૨।।