સ્વામીએ એક દિવસ વાત કરી જે, જયારે હું પૂર્વાશ્રમમાં હતો, ત્યારે મને ખભે એક મોટું ગૂમડું થયું હતું. તેની પીડા ઘણી થઇ, તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રીને સમે મહારાજ પધાર્યાને મને દર્શન દીધાં; તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું ને મસ્તક ઉપર દક્ષિણી પાઘ ધારી હતી ને લલાટને વિષે કેસર-ચંદનની અર્ચા સહિત કુંકુમનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાંખડીઓ ઉપર ચડ્યા હતા; એવી શોભાને જોઇને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પરોવાઇ ગઇ ને પછી ગૂમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઇ. પછી મહારાજ પણ હસીને અદ્રશ્ય થઇ ગયા. પછી તે દહાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી;પછી જયારે અલૈયેમોડે મહારાજનાં મેં પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ તે બેય એક થઇ ગઇ એવું જોઇને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. ।।૧।।