વળી કહ્યું જે, “મધ્યના વચનામૃત નવમાં કહ્યું છે જે,‘બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય.’ ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ તો રાત્રી પ્રલયમાં નાશ થઇ જાય છે, ને ત્યાંના મુકત વૈકુંઠમાં જાય છે, ને બીજા પણ નાશ થાય છે. ને મહારાજે બીજા અવતારનાં જેટલાં તો હરિભકત તથા સાધુ દ્વારે કામ કરાવ્યાં છે ને હજી કરાવે છે; તે સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિક મોટાં મોટાં કાર્ય ભકત દ્વારે કર્યા છે, તે માટે ભગવાન જેવા તો એ છે. અને બીજાએ તો રાસ કરાવ્યા ને આ તોડાવે છે, ને સ્ત્રીનો ને ધનનો ઘાટ પણ નથી થાતો, એવાય કેટલાક છે તે ઉપર પાળાનાં તથા સાધુનાં નામ કહી દેખાડ્યાં, ત્યારે ઓલ્યાથી એ સરસ થયા ને બીજા ભગવાન તો કેવા છે ? તો તેનું દષ્ટાંત દીધું જે, દિલ્હીના બાદશાહનું નામ શેરખાં, તે બીજાથી નામ ન પડે. તે એક ગામનો સિપાઇ નામે શેરખાં દિલ્હી ગયો; તેને બાદશાહે પૂછ્યું જે, ‘કેમ તમારું નામ શેરખાં છે ?’ ત્યારે કહે જે,‘હું તો શેરખાં કેવો ? હું તો નામ માત્રે કરીને શેરખાં છું, તે જેવાં પગરખાં, ચબરખાં ને લબરખાં એવો છું,’ એમ ભેદ છે; એવી રીતે સમજવું તે સમજણ ઠીક છે.એવી સમજણ જો ન હોય તો બહુ કાચ્યપ રહે તે માટે આ શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે, તેને જ સર્વોપરી ભગવાન જાણવા.” એમ સભામાં બોલ્યા, પછી શૃંગાર આરતી થઇ, તે દર્શને પધાર્યા. ।।૨૨।।