જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે, ને વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, ને બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે, ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે; પણ કોઇ એકાંતિક સાધુ ન થાય. માટે એમાં કાંઇ માલ નથી. તે સારુ આવા સાધુનો સમાગમ કરી લેવો ને સાધુ થાવું ને રૂપિયા પડ્યા રહેશે, બીજા પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે. ને જે ભકિત કરે કે રાતમાં ધ્યાન કરે તે મનમાં જો એમ જાણે જે,‘જો આ સર્વ ખાઇ ખાઇને સૂઇ રહ્યા છે,હું એક કરું છું.’ તો બધુંય બળી ગયું. ને મોટપ પામીને ચેલો ચેલો કરે, તે ચેલો-બીજું તો શું કહીએ ? તૂંબડી તો એની એ પણ સાકર માંહી નાંખીને છાની પાય, એમ ચોરીઓ કરે અને ચેલો એમ ન કરે તો પંડે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. એમ યુકિતઓ કરતે કરતે જન્મ ખોઇ નાખે. એવી યુકિતમાં બેયને સમું , ચેલાને પણ ભેળું કામ થાય. તે ઉપર –

“છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બે ચાર;

મોટાની મો’બત મૂકશે રે, જેને કેનો ન રહ્યો ભાર.શ્રીજી પધાર્યા સ્વધામમાં રે…” એ બોલ્યા ।।૪૬।।