વળી બીજુ એ જે, કોઇ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય, ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે,ને એક દિવસ આત્માનદં સ્વામી માંદા હતા.તેણે કહ્યું કે‘ શાક કરો’ ત્યારે ઓલ્યે સાૈ આગળ હોહો કર્યું, તે વાત મહારાજ પાસે ગઇ એટલે કહે, ‘ઓહો ! એણે એના જીવનું બહું ભુંડું કર્યું જે, મોટા સાધુમાં અવગુણ પરઠ્યો.’ ને મુકતાનંદસ્વામી જમતા હતાં, તે એક જણે એમ ચિંતવ્યું જે આવા મોટા સાધુ આમ કેમ જમે છે ? પછી એ જે અન્ન દેખે તે કીડા થઇ જાય ! તે પંદર દિવસ લગી એમ થયું, પછી દાંતે તરણા લઇને પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઇ સાધુનો અવગુણ ન લેવો. અરે ! કેટલાક તો ‘ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી’ એમ કહેતા. તે ગયા , તે પણ દીઠા. ।।૬૫।।