આ સમાગમ મળ્યો છે તે કોઇક પૂર્વનો સંસ્કાર ભારે છે;તે સમાગમ કરવા સારુ આવ્યા છો, ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજ, કાલ, મહિને કે વર્ષે પણ મળશે; ને સમાસ ઘણો કરશે. ને કોઇ જાણતા હશે જે કરીએ છઈએ, ને કેમ કાંઇ થાતું નથી ? પણ આ તો મેળવણ નાખીએ છઈએ, તે દહીં થઇને ઘી તો વલોવ્યા પછી નીકળશે; ને આ વાત તો બહુ દુર્લભ છે. ને આ સત્સંગ તો ઘણો થયો છે,ને પૃથ્વીના સર્વે માણસ કરશે, પણ આવા કહેનારા કયાંથી મળશે ? ને રૂપિયા તો ગાડે ગાડે આવશે, ને હવેલીઓ પણ થાશે, પણ આ નહિ મળે. ને હવે તો કોઇ વાતની કલ્પના રાખવી નહિ.આ જીવ સમજવા મંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી,વેપાર કર્યો, તો પણ રોટલા ને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો ભળાણો નહિ; માટે શા સારુ ઝાઝું કરીએ ? અને કેદીક ઢગલો મળે તો શું થાય ? દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે; ને દાળ, રોટલા નેવસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે. ને મોરે તો કટક , ધાડાં ,મિયાણાં ને માળિયાના હાટી એવા કૈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહિ ને કાળ પડતા ને કાંતો ટીડડાં, ઉંદર ને રોગએ પણ કૈક આવતાં, એવાં મહા દુઃખ આવતાં. આવું સાનુકૂળતો કોઇ દિવસ આવ્યું ન હોતું એમ જણાય છે. માટે ભગવાન ભજયાનો લાગ તો આજ જ છે. અરે ! એમ બાવીશ વર્ષ વનમાં રહ્યા, તે ત્રણ દિવસે અન્ન મળે, ને ઝાડ તળે ટાઢ, તડકો,વરસાદ ને હિમમાં પડ્યા રહેતા, ને ઓઘામાં રહેતા, એક ગોદડીભર રહેતા, એવાં દુઃખ સહન કર્યા છે.અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધિ તાપનું રૂપ કહ્યું અધ્યાત્મ તો એ જે, આ દેહમાં રોગ આવે; અધિભૂતજે સર્પ, સાવજ આદિક પરથી દુઃખ થાય; ને અધિદૈવ જે ટીડ ,ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ થાય; તે એ ભગવાન ભજેતો મટે, ને ખરેખરું ભજે તો આમ આપણાં સામુ જોઈ રહે,એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી જે, શ્રીકૃષ્ણે તો કહ્યું છે જે, ‘છપ્પન કોટિ યાદવ, લક્ષ્મી આદિક પટરાણીઓને આ મારો દેહ જેવો વહાલો નથી, તેવા ઉદ્ધવજી પ્રિય છે.’એમ દયા કરે છે, માટે એવું થાવું. ।।૬૭।।