સ્તુતિ-નિંદાના (લોયા-૧૭) વચનામૃતમાં કહ્યું છે જે,‘જેને ભગવાનનું માહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળેતો તેમાં મૂંઝાઇ જાય.’ ત્યારે એક સાધુએ પૂછ્યું જે, ‘સારામાં મૂળગો કેમ મૂંઝાય ?’ એટલે સ્વામી કહેઃ ‘ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય, તેમ એ સાધુ સારામાં મૂંઝાય, કેમ જે, એણે આગળથી જ રાખ કરી મૂકયું હોય પછી શું કઠણ પડે ? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું; પણ ગમે નહિ ને સહુ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું, તે ગઢપણ સારુ, તે વગર પણ ચાલે, ધરતી જેવું તો સુખ જ નહિ. ને વાહને પણ ઝાઝું ન ચલાય, તે સારુ જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલ શા ? ને આ મહોલાત, ધર્મશાળા પણ ન ગમે ને આ તો આજ્ઞા એટલે શું કરવું ? નીકર આમાં શું માલ છે ? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે.’ ।।૧૨૮।।