મુંબઇ જાય તો સત્સંગ થોડો ઘાસે ને તેથી મુસંબી જાય તો વધુ ઘાસે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય.માટે ઘેર બેઠાં રોટલા મળે, તો વધુ સારું. આઘું જાવું નહિ ને શહેર, પાટણ સેવવાં નહિ. ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોઇકે કહ્યું જે,‘તમારી આજ્ઞામાં રહે તો ?’ એટલે સ્વામી કહેઃ ‘હા, આજ્ઞામાં રહે તો સુખી થાય ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખી થાય. આજ્ઞા ને વચન એ બે માં જ સુખ છે ને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓને ! જાનકી જિયે આજ્ઞા બહાર પગ દીધો, તો હરાણાં. ને એક કડિયો કરાંચી ગયો, તે ભારે કમઠાણ ઉઠાવીને રૂપિયા પંદર હજાર ભેળાં થયા. પછી મેં આંહીંથી કાગળ લખ્યો જે, ‘ભાગી આવજે, ઝાઝો લોભ કરીશમા.’ પણ ન આવ્યો. તેમાંથી શુંયે થયું, તે બધાય ગયા ને પોતે માંડ બાયડી-છોકરાં લઇને ભાગ્યો, એમ પણ થાય છે.।।૧૬૮।।